Ambedkar statue vandalised:: બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારતના રાજકારણમાં ભારે હંગામો મચી ગયો છે. વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા નિવેદનને ડૉ. આંબેડકરનું અપમાન ગણાવ્યું છે અને આ અંગે દેશભરના વિરોધ પક્ષોના નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી કે.કા. શાસ્ત્રી કોલેજની સામે જયંતી વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્ત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં છે.
સ્થાનિકો લોકોએ આ ઘટનાની જાણકારી પોલીસને આપતા જ ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જોકે આ ઘટના બનતાં ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ડો.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને ખંડીત કર્યાની ઘટના સામે આવતા જ અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડીત કરનારા આવાં અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢે તેવી માંગ કરી છે. તો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, હોસ્પિટલો માટે નવી SOP જાહેર
વધુમાં જયંતી વકીલની ચાલીની બહાર એકઠા થયેલા લોકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, આવતીકાલ સુધીમાં આરોપી નહીં પકડાય તો ખોખરા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. આવતીકાલે સવારથી ખોખરા બંધ અને અલગ-અલગ વિસ્તારોમાં દલિત સંગઠનોને બંધ કરાવવા માટે જણાવ્યું છે. હવે સ્થાનિકો ઉગ્રતાથી આંદોલન કરવા તરફ આગળ વધી રહ્યા છે. જોકે આરોપીઓ પકડવાના મુદ્દે નિષ્ફળ રહેલી પોલીસ દલિત આગેવાનોને સમજાવીને સમય માગી રહી છે. તમને જણાવી દઈએ કે, ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડીત કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસ હજુ પણ નિષ્ફળ રહી છે. આરોપીઓ કોણ છે તે હજી સુધી ઓળખ થઈ શકી નથી.
ડો. બાબાસાહેબની ખંડિત પ્રતિમાને કપડાંથી ઢાંકી દેવામાં આવી છે
સ્થાનિક લોકો હાલમાં પણ રસ્તા પરથી હટી રહ્યા નથી અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ હટશે નહીં તેની પણ ચિમકી ઉચ્ચારી છે. જોકે હાલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાંથી ઢાંકી દેવામાં આવી છે.
જિગ્નેશ મેવાણીનીની ચીમકી – 24 કલાકમાં ધરપકડ કરો
આ અંગે કોંગ્રેસથી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, અમિત શાહે હજુ સુધી માફી માંગી નથી અને સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાને નુકસાન થયું છે.જ્ઞાતિવાદી તત્વોએ મળીને બાબા સાહેબની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે દેશના ગૃહમંત્રીને બાબા સાહેબ માટે કોઈ માન નથી, તો તેમના જેવી મનુવાદી વિચારસરણીમાં માનતા જ્ઞાતિવાદી ગુંડાઓ પણ આવું જ કરશે. અમે માંગ કરીએ છીએ કે માત્ર FIR જ નહી પરંતુ 24 કલાકની અંદર ધરપકડ પણ થવી જોઈએ.