Indranil Rajyaguru: એક તરફ આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશી છે તો બીજી તરફ આ જ દિવસે પાર્ટીને ફટકો પણ પડ્યો છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજયગુરુ આ વર્ષે એપ્રિલમાં જ આપમાં જોડાયા હતા. હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
ઇન્દ્રનીલ કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં પરત ફર્યા છે.
આમ આદમી પાર્ટી છોડ્યા પછી કે ઇન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું કે મારા પિતાના સમયથી અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને મારા પરિવારજનો પણ મારા કોંગ્રેસ છોડવાના નિર્ણયથી સહમત ન હતા. આપને અવસરવાદી અને ભાજપની બી ટીમ ગણાવતા ઈન્દ્રનીલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું આપમાં લાગ્યુ છે.
આ પણ વાંચો – ઈસુદાન ગઢવી બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
રાજીનામા પર ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું
આ મુદ્દા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી પર એવું દબાણ લાવવામાં આવતું હતું કે તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદ માટેના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે. આ સિવાય તેમણે 15 ટિકિટ તેમને ફાળવવામાં આવે એવું દબાણ પણ કર્યું હતું. ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા એ વાત ઇન્દ્રનીલભાઈને ન ગમે એ માટે આજે તેમણે કોંગ્રેસ જોઈન કરી લીધી.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.