PM Narendra Modi Road Show: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરને સોમવારે થવાનું છે. જેમાં અમદાવાદમાં પણ મતદાન થવાનું છે. અમદાવાદમાં બીજેપી કાર્યકરોનો ઉત્સાહ વધારવા સતત બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કર્યો હતો. પીએમ મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન બાદ વિધિવત પૂજા-અર્ચના કરીને માતાજીની આરતી ઉતારી હતી. આ પછી સારંગપુર ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પહેલા ગઇકાલે પણ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો.
પીએમ મોદીએ અમદાવાદના સરસરપુરમાં જનસભાને સંબોધતા કહ્યું કે આ ચૂંટણી અભિયાનની મારી છેલ્લી સભા છે. સૌથી પહેલા અમદાવાદનો હ્રદયથી આભાર માનું છું. ગઈકાલે કેસરિયા મહાસાગર આખાં અમદાવાદમાં જોવા મળ્યો. અમદાવાદના લાખો નાગરિકોના દર્શન કરવાનો મોકો મળ્યો અને આશીર્વાદ મેળવવાનો લાવો મળ્યો. આજે માં ભદ્રકાલી અને પૂજ્ય બાબા સાહેબ આંબેડકર આ બન્ને પવિત્ર સ્થળે માથું નમાવવા ગયો હતો.
પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ કહ્યું કે તમારા જિંદગીના 25 વર્ષ સ્વર્ણિમ અને ઉત્તમમાં ઉત્તમ જાય, એવી રીતે ભાજપના કમળને વોટ આપજો હું તમને ગેરંટી આપું છું તમારા ઉજ્જવળ ભવિષ્યની. 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય, ગુજરાત કેટલું સશક્ત હોય, ગુજરાત કેટલું સમૃદ્ધ હોય, ગુજરાત કેટલું દિવ્ય હોય, ગુજરાત કેટલું ભવ્ય હોય, ગુજરાત કેટલું વિકસિત હોય એનો મજબૂત પાયો નાખવા માટે આ વખતનું મતદાન છે. આજે આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યું છે અને પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે.
ભારતનો ત્રિરંગો આજે સુરક્ષાની ગેરંટી બન્યો છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં જ્યારે સંકટ આવ્યું ત્યારે આપણા લોકોને ત્યાંથી સહી સલામત લઈ આવ્યા હતા.યુક્રેનમાં 20 હજારથી વધુ બાળકો આપણા ત્યાં હતા. આપણા દેશની તાકાત જુઓ આપણા દેશના ઝંડા સાથે આપણા બાળકોને ત્યાથી લઈ આવ્યા. ભારતનો ત્રિરંગો આજે સુરક્ષાની ગેરંટી બન્યો છે. આજે ભારતને મદદ માટે હાથ ફેલાવવો નથી પડતો, પરંતુ મદદ માટે હાથ લંબાવે છે. આજે પૂરી દુનિયાની નજર ભારત પર છે, ભારતના સામર્થ્ય પર છે.
આ પણ વાંચો – બંગાળીઓ માટે માછલી પકવશો વાળા નિવેદન પર પરેશ રાવલે માફી માંગી
ગુરુવારે પીએમ મોદીએ 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો
ગુરુવારે પીએમ મોદીએ 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો નરોડાથી શરૂ થયો હતો અને ચાંદખેડા સમાપ્ત થયો હતો. શહેરની મોટાભાગની બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો હતો. રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકો આતુર જોવા મળ્યા હતા.
કાંકરેજમાં નરેન્દ્ર મોદીએ કહ્યું- કોંગ્રેસે રોક્યો હતો ગુજરાતનો વિકાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ મોટો દાવો કરતા કહ્યું કે ગુજરાતમાં ફરી એક વખત બીજેપીની રેકોર્ડ તોડ વાપસી થશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લટકાવવું અને ભટકાવવું કોંગ્રેસની આદત છે. કોંગ્રેસની ફિતરત છે કે તે એવું કોઇપણ કામ કરતી નથી જેમા તેનું પોતાનું હિત ના હોય. બીજી તરફ મોદી જે કહે છે તે કરીને બતાવે છે. જો તમે અમને આશીર્વાદ આપો છો તો અમે વધારે શક્તિ સાથે કાર્ય કરીશું.
પીએમ મોદીએ કહ્યું- સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક અવરોધો ઉભા કર્યા
ભાજપ સિંચાઇ માટે લગાતાર કામ કરે છે. જે બનાસકાંઠાની કોઇ ઓળખ ન હતી, તેને પાણી મળ્યું બટાકા અને અનારની ઓળખ મળી છે. નર્મદાના પાણી માટે કોંગ્રેસે લોલીપોપ આપ્યા પણ પાણી ન આપ્યું. સરદાર સરોવર ડેમ ન બને તે માટે અનેક અવરોધો ઉભા કર્યા, જેણે સરદાર સરોવર ડેમ અટકાવ્યો હતો, એમના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરે છે.