ગુજરાત બજેટ 2023-24માં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ પર્યટન અને યાત્રાધામના વિકાસ ઉપર પણ ધ્યાન આપ્યું છે. નાણાંમંત્રીએ કહ્યું કે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધા છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આ બજેટમાં 346% ના વધારો કરવાની જાહેરાત કરી છે. પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે 2077 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
પર્યટન, યાત્રાધામ માટે શું છે જોગવાઇ
- પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે 2077 કરોડ રૂપિયાની જોગવાઇ
- આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 705 કરોડ રૂપિયાની જોગવાઇ.
- ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે 640 કરોડની જોગવાઇ.
- એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ.
- અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે 300 કરોડની જોગવાઇ.
- રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે 94 કરોડની જોગવાઇ.
- હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે 33 કરોડની જોગવાઇ.
- કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે 25 કરોડની જોગવાઇ.
- ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે 20 કરોડની જોગવાઇ.
- સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે 120 કરોડના આયોજન સામે 10 કરોડની જોગવાઇ.
- એર કનેક્ટિવિટી વધારવા માટે કેશોદ એરપોર્ટનું વિસ્તરણ અને દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણનું આયોજન છે.
આ પણ વાંચો – ગુજરાત બજેટ 2023 : નાણાંમંત્રી કનુ દેસાઇની જાહેરાત, ગિફ્ટી સિટી ભારતની આર્થિક નગરી બનવા જઇ રહ્યું છે
5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે
આ સિવાય સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સફેદ રણ-ધોળાવીરા, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા-શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે. આ પર્યચન સ્થળો અને તેની આજુબાજુના સમગ્ર વિસ્તારનો આયોજનબદ્ધ રીચે વિકાસ કરવામાં આવશે. રાજ્યમાં ધાર્મિક પ્રવાસન, હેરિટેજ, એન્ડવેચર અને ઇકો ટૂરિઝમને વધારવા અંદાજે 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવાનું આયોજન છે.
દ્વારકા પુરાતન ભારતની મોક્ષદાયિની સાત નગરીઓમાં સ્થાન ધરાવે છે અને ચારધામ પૈકીનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા યાત્રાધામ કોરિડોર બનાવી દ્વારકાનગરીના મૂળ વૈભવને પુનસ્થાપિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગર ખાતે વિવિધ કામગીરી માટે 565 કરોડની જોગવાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.