ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. ખરેખરમાં ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો છે. કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2025 થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવામાં આવશે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જાણકારી આપીને સોશિયલ મીડિયા હન્ડલ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે. જેમાં તેમણે વિગતવાર આ નિર્ણયને લઈ ઉલ્લેખ કર્યો છે.
સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
આ પણ વાંચો: ઘરના કબાટમાંથી મળી પિતાની વર્ષો જૂની બેંકની પાસબુક, દીકરો રાતોરાત બની ગયો કરોડપતિ
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ. 235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે, તથા વધારાના વાર્ષિક રૂ. 946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે.





