ગુજરાતના IAS અધિકારી નીતિન સાંગવાનને સાબરકાંઠા જિલ્લાના ધરોઈ ડેમ નજીકના ગામની મુલાકાત દરમિયાન માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના જૂથ દ્વારા કથિત રીતે બંધક બનાવવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપી.
એવી આશંકા છે કે, મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓ શોધી કાઢવાને કારણે આ ઘટના બની હતી.
સાબરકાંઠા ડીએસપી વિશાલ વાઘેલા જણાવ્યું હતું કે, સાંગવાન, જેઓ મત્સ્યોદ્યોગના નિયામક તરીકે કામ કરી રહ્યા છે, સોમવારે (6 માર્ચ) ના રોજ એક ગામની મુલાકાત દરમિયાન તેઓ તેમના અન્ય સ્ટાફ સાથે હતા અને તે સમયે હુમલામાં તેમને ઈજાઓ થઈ હતી, પરંતુ હવે તે ખતરાની બહાર છે.
તેમણે કહ્યું કે, પોલીસે ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી પર હુમલામાં કથિત સંડોવણી બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે.
વાઘેલાએ જણાવ્યું હતું કે, “ગુનામાં સામેલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અન્ય આરોપીઓને ઓળખવા અને પકડવાના પ્રયાસો ચાલુ છે.”
અમલદાર અને તેમની ટીમ સાબરમતી નદી પર ધરોઈ ડેમ નજીક આવેલા આંબાવાડા ગામમાં મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા ગયા હતા, જ્યાં રાજ્ય સરકાર સ્થાનિક કોન્ટ્રાક્ટરોને ડેમના પાણીમાં “કેજ કલ્ચર ફિશિંગ” શરૂ કરવા સબસિડી આપે છે.
એફઆઈઆર મુજબ, મુલાકાત દરમિયાન, 2016-બેચના IAS અધિકારી સાથે પાલનપુરના મત્સ્યોદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારી ડીએન પટેલ અને કેટલાક જુનિયર સ્ટાફ હતા.
પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, માછીમારીના ઠેકેદારોમાંના એક અને કેસના મુખ્ય આરોપી બાબુ પરમારે સાંગવાન સાથે દલીલ શરૂ કરી હતી, જ્યારે જાણ કરવામાં આવી હતી કે, અમલદારે તેના ખોટા કામો પકડ્યા હતા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખેડબ્રહ્મા તાલુકાના કાંથાપુરા ગામમાં રહેતા બાબુ પરમારને અચાનક ગુસ્સો આવ્યો અને તેણે સાંગવાનને ઘૂંટણ પાસે ડુચો ભરી દીધો. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, બાદમાં અન્ય ચાર વ્યક્તિઓ સ્થળ પર પહોંચ્યા અને આઈએએસ અધિકારીને માર માર્યો.
ત્યારબાદ બાબુ પરમારે 10 થી 12 અન્ય માણસોને બોલાવ્યા, જેઓ લાકડીઓ સાથે ઘટના સ્થળે આવ્યા અને સાંગવાન અને તેની ટીમને બંધક બનાવી દીધા. ત્યારબાદ એક કાગળના ટુકડા પર લખવા અને સહી કરવાની ફરજ પાડવામાં આવી, અને ધમકી આપવામાં આવી કે, જ્યાં સુધી કાગળ પર લખી સહી નહીં કરો ત્યાં સુધી છોડીશું નહીં, અને અહીંથી ગયા પછી તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નહી કરો, આ આશ્વાસન બાદ મુક્ત થયા.
એફઆઈઆરમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બાબુ પરમાર અને અન્ય લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી.
વડાલી પોલીસે બાબુ પરમાર અને તેના માણસો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી, જેમાં 386 (મૃત્યુનો ડર આપી જબરદસ્તી), 147 (હુલ્લડ), 189 (ગુનાહિત ધાકધમકી), સરકારી કર્મચારી (લોક સેવકને ઈજા પહોંચાડવી – 332, 342 (ગેરકાયદેસર બંદી બનાવવા), 353 (લોક સેવક પર હુમલો કરવો) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભામાં BBC વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ : ‘ગુજરાત રમખાણો સંબંધિત તથ્યો સાથે છેડછાડ’
પકડાયેલા લોકોની ઓળખ દિલીપ પરમાર, નિલેશ ગમાર અને વિષ્ણુ ગમાર તરીકે થઈ છે, જેઓ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે.