/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે ભૂજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીનું મોત થયું છે. ત્યાં જ સુરતના પૂણા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં છ લોકો દાઝી ગયા હતા.
ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીનું મોત
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં 22 વર્ષની ઈંદિરા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. તેને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગઈકાલે સવારે 6 વાગ્યાની આસપાસ બોરવેલમાં ખાબકેલી ઈંદિરા 32 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગઈ છે. આજે સાંજના સમયે ઈન્દિરાને 32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કરી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુરતના પુણા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ
સુરતમાં આજે સવારે ગેજ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં આગની ઝપેટમાં આવેલા એક જ પરિવારના 5 લોકો અને ઉપર રહેતો એક વ્યક્તિ આગમાં દાઝી ગયા હતા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ઘરનો સ્લેબ પણ તૂટી ગયો હતો. જેના કારણે ઉપર રહેતો વ્યક્તિ નીચે આવીને પડ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઘાયલોને સુરતની સરકારી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બનાસકાંઠા વિભાજનને લઈ દિયોદરમાં સતત છ દિવસથી વિરોધ
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને જિલ્લો જાહેર કરતાં વિરોધનો વંટોળ યથાવત છે. કાંકરેજ અને ધાનેરાને થરાદ જિલ્લામાં ન ભેળવવા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જ્યારે દિયોદરને ઓગડ જિલ્લો બનાવવા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આજે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદર પ્રાંત કચેરીએ અનશન પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
દ્વારકા નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત
દ્વારકા પાસે આવેલા ભીમરાણાના પુલ પાસે આજે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. થ્યાં જ કારની અંદર બેઠેલા અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં 37 DySP ને નિમણૂક અપાઈ
રાજ્યમાં સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી) વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂક પામેલા અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા અલગ અલગ જિલ્લાઓમાં વર્ગ-1 સંવર્ગના અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ વિઝા નિયમોમાં ફેરફાર
ન્યૂઝીલેન્ડમાં મજૂરોની અછત હોવાથી દેશે ઇમિગ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેના વિઝા અને રોજગાર નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. કામના અનુભવ, માપદંડ, વેતન અને વિઝાની અવધિમાં ગોઠવણો સાથે આ ફેરફારોનો હેતુ કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંને માટે ઇમિગ્રેશન પાથને સરળ બનાવવાનો છે. ન્યૂઝીલેન્ડ સરકારે દેશની એકંદર શ્રમ સ્થિતિ અને ઈમિગ્રેશનને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કર્યા છે. વિઝા નિયમોમાં ખરેખર શું ફેરફારો કરવામાં આવ્યા હતા? ભારતીય નાગરિકો પર તેની શું અસર થશે? વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us