Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે લૂ ની ચેતવણી આપી છે. ત્યાં જ વિક્રમ ઠાકોરને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ઉપરાંત વડોદરામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 450 સરકારી કર્મચારીઓ દંડાયા છે.
વિક્રમ ઠાકોરને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાયું
ગાંધીનગર વિધાનસભામાં કલાકારોને આપેલા આમંત્રણ મામલે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને માઠું લાગ્યું હતું, જે બાદ તેમણે મીડિયા સમક્ષ ઠાકોર સમાજના કલાકોરોની અવગણના મામલે પોતાનો ઊભરો ઠાલવ્યો હતો. જે બાદથી સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરના ફેન્સ પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ત્યાં જ આવતીકાલે 16 માર્ચના રોજ કુડાસણ રોડ પર આવેલા તુલસી પાર્ટ પ્લોટ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને લઈ ગુજરાત આખામાં ચર્ચાઓ ચાલી રહી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વડોદરામાં 450 સરકારી કર્મચારીઓ દંડાયા
વડોદરા શહેર હાલમાં તેના હિટ એન્ડ રન કેસને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન વડોદરાથી એક મોટા સમાચાર આવ્યા છે, જ્યાં હેલ્મેટ ન પહેરવા બદલ 450 સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરામાં છેલ્લા 15 દિવસમાં હેલ્મેટ ન પહેરવા બદલ 5 હજાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ હેલ્મેટ ઝુંબેશ દરમિયાન આ તમામ ચલણ જારી કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે લૂ ની ચેતવણી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીના મોજાની ચેતવણી જારી કરી છે. કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા નારંગી ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 16 અને 17 માર્ચ દરમિયાન કચ્છમાં ગરમ પવનો ચાલુ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે 16 માર્ચથી 19 માર્ચ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી રહેશે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
અમદાવાદમાં મંદિર બચાવવા મહંતે ગળાફાંસો ખાધો
નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ આજે સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહંતના દીકરાએ આક્ષેપ કર્યો છે કે AMC, સરદારનગર પોલીસ અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ AMC એ મંદિર તોડવાની કોઈ નોટિસ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે.





