ભારત સરકાર વિદેશમાં ગુના કરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સતત પ્રયાસો કરે છે પરંતુ વિજય માલ્યા, લલિત મોદી જેવા આર્થિક ગુનેગારોને ભારતમાં પાછા લાવવામાં હજુ સુધી સફળતા મળી નથી. જોકે તાજેતરમાં જ એક મહત્વની ઘટના સામે આવી છે, જેમાં એક ભારતીય નાગરિકને બ્રિટનમાંથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. જે ત્યાં પોતાની મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. દેશમાં કદાચ આ પ્રકારનો પહેલો કિસ્સો છે જેમાં હત્યારાનું પ્રત્યાર્પણ કરવામાં અને તેને સજા અપાવવામાં સફળતા મળી હોય.
વર્ષ 2020માં ભારતીય નાગરિક જીગુ કુમાર સોરઠીએ યુકેના લેસ્ટરમાં તેની મંગેતર ભાવિનીની હત્યા કરી હતી. જીગુએ ભાવિની પર છરી વડે અનેક વાર હુમલો કર્યો હતો, જે બાદ ભાવિનીનું મોત થયું હતું. આ કિસ્સાએ ગુજરાતમાં ખૂબ જ હલચલ મચાવી છે. કારણ કે જીગુ ગુજરાતના ઉમરગાંવનો રહેવાસી છે. હત્યા બાદ આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું અને કેસની સંપૂર્ણ માહિતી આપી હતી. ઝીગુને લેસ્ટર કોર્ટે 28 વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું હતું કે હત્યાની આ પદ્ધતિને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય નહીં અને આરોપીએ તેની મંગેતરનું ભવિષ્ય સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું.
આ પણ વાંચો: ‘આંબેડકર’ પર કેમ થઈ રહ્યો છે વિવાદ? અમિત શાહ પાછળ પડ્યા વિપક્ષના દળો, માયાવતીનું પણ આવ્યું નિવેદન
ચાર વર્ષની સજા ભોગવી છે
યુકેની જેલમાં ચાર વર્ષની સજા ભોગવ્યા પછી જીગુના પરિવારે ભારત સરકારને વિનંતી કરી હતી કે જો તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે તો તેની સજા ભારતમાં જ ભોગવવી જોઈએ. બંને દેશોના અધિકારીઓ અને દૂતાવાસોના સહયોગથી આરોપીનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. 16 ડિસેમ્બરે જીગુને બ્રિટિશ એસ્કોર્ટ સ્ટાફની મદદથી બ્રિટનથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. સુરત પોલીસની ખાસ ટીમ દિલ્હીમાં હાજર હતી. જેણે તમામ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને સુરત પોલીસને સોંપ્યો હતો.
હત્યારાનું પ્રથમ વખત પ્રત્યાર્પણ
હવે જીગુ કુમાર સોરઠી સુરતની લાજપોર જેલમાં સજા કાપશે. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે જ્યારે કોઈ હત્યારાનું પ્રત્યાર્પણ થયું છે અને હવે તે ભારતમાં તેની સજા ભોગવશે. જીગુ અને ભાવિનીએ 2017થી યુકેમાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું અને બંનેના લગ્નની યોજના હતી. પરંતુ બંને વચ્ચે રોજબરોજના ઝઘડા થતાં ભાવિનીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આનાથી ગુસ્સે થઈને જીગુએ તેની નિર્દયતાથી હત્યા કરી અને પછી પોલીસને આત્મસમર્પણ કર્યું હતું.





