પાટીદાર આંદોલન મુદ્દે ફરી રાજકારણ ગરમાયું, કરશનભાઇ પટેલ સામે હાર્દિક પટેલનો વળતો પ્રહાર

Hardik Patel Slams Nirma Chairman: નિરમા ગ્રૂપના ચેરમેન કરસનભાઈ પટેલના 2015ના પાટીદાર અનામત આંદોલન અંગેના અહેવાલ બાદ ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Written by Rakesh Parmar
January 06, 2025 15:41 IST
પાટીદાર આંદોલન મુદ્દે ફરી રાજકારણ ગરમાયું, કરશનભાઇ પટેલ સામે હાર્દિક પટેલનો વળતો પ્રહાર
પાટીદાર અનામત આંદોલનના સમયે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. (તસવીર: સોશિયલ મીડિયા)

અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ અને નિરમા ગ્રૂપના ચેરમેન કરસનભાઈ પટેલના 2015ના પાટીદાર અનામત આંદોલન અંગેના અહેવાલથી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યાં જ હવે પાટીદાર અનામત આંદોલનના નેતા અને હવે વિરમગામથી બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલે બિઝનેસમેન પર સમાજનું “વિભાજન” કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા એક વીડિયોમાં, કરસનભાઈ પટેલે રવિવારે એક સામાજિક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે કથિત રીતે એવું કહેતા સાંભળી શકાય છે કે આંદોલનથી “કંઈ થયું નથી”. ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આ વીડિયોની સત્યતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર 2015માં પાટીદારોએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની માંગ સાથે વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન થોડા સમય બાદ હિંસક બન્યો હતો જેમાં 14 લોકોના મોત થયા હતા.

બિઝનેસમેન કરસનભાઈ પટેલને એક વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે. “જો તમને યાદ હોય તો આપણી પાસે આ અનામત આંદોલન હતું. જે પાટીદારોએ જ કર્યું હતું. એમાં શું થયું? કંઈ નહીં. આપણા યુવાનો શહીદ થયા અને આંદોલન કરનારાઓએ તેનો રાજકીય લાભ લીધો, પાટીદારની દીકરી, તે પણ લેઉવા પાટીદારની દીકરી, જે CM (મુખ્યમંત્રી) હતી, તેને જવું પડ્યું. તો શું આ આંદોલન અનામત મેળવવાનું હતું કે કોઈને હટાવવાનું… પાટીદારો પોતે જ પાટીદારોને હટાવે એ શક્ય નથી. તેથી તે સંશોધનનો વિષય છે.”

ઉલ્લેખનિય છે કે, પાટીદાર અનામત આંદોલનના સમયે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને તેમનો ઉગ્ર વિરોધ થતાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

Hardik Patel, anandiben patel, Patidar Agitation, BJP Slams Nirma Chairman,
કરસનભાઈની ટિપ્પણીની વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ટીકા કરવામાં આવી છે. (Photo: X/@HardikPatel_)

કરસનભાઈની ટિપ્પણીની વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ટીકા કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે,” ઉદ્યોગપતિને એ વાતની જાણ નથી કે વિરોધથી સમાજ શું પ્રાપ્ત કરી શક્યો છે. કારણ કે તે અબજોપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે છે.”

“આંદોલનને કારણે, માત્ર પાટીદારો જ નહીં પરંતુ 50 થી વધુ સમુદાયો કે જેમને અનામત નથી મળી રહી, તેમને 1,000 કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના મળી, બિન-અનામત સમુદાયોને કમિશન અને કોર્પોરેશન મળ્યું અને આર્થિક રીતે ગરીબ પાટીદારોને 10% આરક્ષણ મળ્યું. હાર્દિકે સોશિયલ મીડિયા પર કહ્યું કે, “આ યોજનાને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં હજારો યુવાનો મફતમાં ભણી રહ્યા છે અને નોકરીઓ પણ મળી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કરસનભાઈ જેવા ઘણા નેતાઓ છે જેઓ પાટીદાર સમાજને લેઉવા-કડવા (પાટીદાર સમાજની બે મુખ્ય પેટા જાતિ) ની તર્જ પર વિભાજિત કરી રહ્યા છે. આવા નેતાઓને ઓળખવાની જરૂર છે કારણ કે તેઓ સમુદાયને જોઈ શકતા નથી. જો સમુદાય એક થાય છે તો આવા નેતાઓનો દરજ્જો નીચે આવે છે.”

આ પણ વાંચો: વાદળી રંગ દલિત સ્વાભિમાનનું પ્રતીક કેવી રીતે બન્યો, તે આંબેડકર અને એસસી સમુદાયના સંઘર્ષ સાથે કેમ જોડાયેલ છે?

પાટીદાર આંદોલન બાદ શું થયું?

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS), 2015માં પાટીદાર જ્ઞાતિ માટે અનામતની માગણી કરતા આંદોલનનું નેતૃત્વ કરવા માટે હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલી પાટીદાર સમુદાયની સંસ્થા, અને જેણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવક તરીકેની શક્તિશાળી ભૂમિકા ભજવી હતી. પરંતુ થોડા સમય બાદ સંગઠનના મોટા ભાગના અગ્રણી ચહેરાઓ વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈ ગયા હતા. નવેમ્બર 2022માં ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતી વખતે PAAS ની વર્તમાન સ્થિતિ અંગેના પ્રશ્નના જવાબમાં ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે, “હાલમાં કોઈ સ્થિતિ નથી. વિવિધ જિલ્લામાંથી PAASના ઘણા સભ્યો AAPમાં જોડાયા. મોટાભાગના લોકોએ (PAAS સાથે સંકળાયેલા) એક યા બીજી રીતે રાજકીય વલણ અપનાવ્યું છે. અમારામાંથી લગભગ 5-7 લોકો કોઈપણ રાજકીય પક્ષ સાથે અસંબંધિત રહ્યા હતા. હવે અમે પણ AAPમાં જોડાયા છીએ, અમે PAAS સાથે શું કરવું તે વિશે વિચારી રહ્યા છીએ. અમે અન્વેષણ કરી રહ્યા છીએ તે વિકલ્પોમાંથી એક છે તેને સમાપ્ત કરવું.”

રેશ્મા પટેલ સંગઠન છોડીને રાજકીય પક્ષમાં જોડાનાર પ્રથમ

PAAS ના અગ્રણી મહિલા ચહેરાઓમાંની એક રેશ્મા પટેલ સંગઠન છોડીને રાજકીય પક્ષમાં જોડાનાર સૌપ્રથમ હતા. જોકે તેમણે થોડાક જ સમયમાં અલગ-અલગ પાર્ટીઓમાં જોડાયા હતા અને વધાનસભા ચૂંટણીમાં પણ ઝંપ લાવ્યું હતું પરંતુ તેમને જનાદેશ મળ્યો નહોતો.

આ પણ વાંચો: કેજરીવાલના ‘શીશ મહેલ’ પર The Indian Express ની ખબર બની ચૂંટણી મુદ્દો, પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર

હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

હાર્દિક પટેલ 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા અને બાદમાં તેમણે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમણે 2022 મે મહિનામાં કડવા અનુભવ પર પાર્ટી છોડી દીધી હતી અને થોડા જ દિવસોમાં 2 જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા. જે બાદ તેમણે વિરમગામથી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જંગી બહુમતી સાથે જીત મેળવી હતી.

અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયાનું શું થયું

PASS ના બે બે જાણીતા ચહેરાઓ અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા અને તેમણે પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમને પણ સફળતા મળી ન હતી. હાલમાં તેઓ સમાજના કામ અર્થે ચર્ચામાં આવતા રહે છે. તાજેતરમાં અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવા મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો અને ચર્ચામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ