ગુજરાતમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકાથી વલસાડમાં ગરબા પંડાલોને નુકસાન થયું છે, જેના કારણે આયોજકોને અસુવિધા થઈ રહી છે અને ખેલૈયાઓ માટે પણ મુશ્કેલીઓ વધી છે. ત્યાં જ આજે બપોર બાદથી જ અમદાવાદમાં પણ મેઘરાજા વરસી રહ્યા છે. જેના પગલે નવરાત્રી રસીયાઓ મૂંઝવણમાં મુકાયા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ
હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં પણ સાચી પડી રહી છે. આજે બપોર બાદથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે નવરાત્રીના પંડાલોને નુકસાન થયુ છે. ત્યાં જ શહેરમાં ગરબા પ્રેમીઓ રાત્રી ગરબાને લઈ મુંઝવણમાં મૂકાયા છે.
ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદને કારણે પારનેરાના ગોકુલ વિસ્તાર અને વલસાડના અન્ય ઘણા સ્થળોએ ગરબા પંડાલોને નુકસાન થયું છે. વલસાડનું એક હિલ સ્ટેશન પારનેરા માતાજીનું મંદિર છે. અહીં ગરબા ઉત્સવમાં ભીડ ઉમટી પડે છે, પરંતુ ભારે વરસાદને કારણે લોકો ફસાયેલા છે. વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા હોવાના અહેવાલો છે. ગોકુલ ગ્રુપના પંડાલમાં એક ગુંબજ બનાવવામાં આવ્યો હતો, જે પણ જોરદાર પવનથી ઉડી ગયો હતો. આ કારણે આયોજકોએ ગરબા ઉત્સવ પણ રદ કર્યો હતો.
ધરમપુરમાં પૂર જેવી સ્થિતિ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધરમપુર તાલુકાના છોટી કોસબારી અને મોટી કોસબારી ગામોને જોડતો કોઝવે રોડ પાણીમાં ડૂબી ગયો છે. ભારે વરસાદને કારણે પાર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. કોઝવે પરનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે પરંતુ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેને પાર કરવાની ફરજ પડી રહી છે.
મોરબીમાં પાણી ભરેલા ખાડામાં ત્રણ બાળકો ડૂબી ગયા
શુક્રવારે બપોરે મોરબી જિલ્લામાં એક ફેક્ટરી પાસે પાણી ભરેલા ખાડામાં એક ભાઈ અને બહેન સહિત ત્રણ બાળકો ડૂબી ગયા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના પાનેલી રોડ નજીક બની હતી. તેમણે જણાવ્યું કે કુલદીપ (છ), તેની બહેન ખુશ્બુ (ચાર) અને તેમની મિત્ર પ્રતિજ્ઞા (પાંચ) બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ખાડા પાસે રમી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. સ્થાનિક રહેવાસીઓએ તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો, અધિકારીએ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે.