કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વર્ષ 1947માં સ્થાપિત આ શાળાના નવા મકાનનું નિર્માણ દોઢ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. શાળાના 80 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું કે, છેલ્લા 30-35 વર્ષમાં પાટીદાર સમાજમાં આર્થિક સમૃદ્ધિ આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય. ત્યાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું પણ કહ્યું કે, કડી વિસ્તારમાં જમીનોની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી છે, જેના કારણે અમદાવાદના બિલ્ડરો પણ આ વિસ્તાર તરફ આકર્ષાયા છે.
આ પણ વાંચો: મહાકુંભ માટે સુરત, વડોદરા અને રાજકોટથી પણ વોલ્વો દોડશે
નીતિન પટેલે જૂના સંસ્મરણો વાગોળ્યા
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગામનું એક એક ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય, અને હું તમને. હું 1990 માં પહેલી વખત ધારાસભ્ય બન્યો કારણકે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ બન્યો, ત્યારે બહુ બધી ઓળખાણ પણ નથી ત્યારે ગામડાના આગેવાનોએ અને તમે બધા ભેગા થઈને મને ધારાસભ્ય બનાવ્યો, પછી તો સતત ધારાસભ્ય રહ્યો અને આપણી ભાજપની સરકાર આવી આરોગ્ય મંત્રી રહ્યો, માર્ગ મકાન મંત્રી રહ્યો, નાયબ મુખ્યમંત્રી રહ્યો બધું રહ્યો પણ એ બધું મારી શક્તિથી નહીં પણ તમારા બધાના આશીર્વાદથી થયું છે.
ભાજપ સરકારે કાર્યકર્તાઓને સુખી કર્યા: નીતિન પટેલ
કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર કે કાર્યકર્તા અથવા નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા છે, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, મા ઉમિયા માતાજીના આશીર્વાદ છે.





