કૃષિ રાહત પેકેજ હેઠળ ગુજરાતના 3.39 લાખથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં ₹.1098 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Agricultural Relief Package: કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

Written by Rakesh Parmar
Ahmedabad December 03, 2025 18:14 IST
કૃષિ રાહત પેકેજ હેઠળ ગુજરાતના 3.39 લાખથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં ₹.1098 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે કહ્યું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ના રહી જાય તે માટે અરજી કરવાની સમય મર્યાદા પણ રાજ્ય સરકારે સાત દિવસ સુધી વધારી છે.

આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE/VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ 29.80 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં બિલ્ડીંગમાં ભીષણ આગ, બારીઓ તોડીને બાળકોને બચાવાયા, જુઓ વીડિયો

વધુમાં જીતુ વાઘાણી જણાવ્યું હતું કે, આજદિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોને પણ તબક્કાવાર તેમના બેંક ખાતામાં ઝડપથી સહાય ચૂકવવામાં આવશે. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ