મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કર્યું હતું. વિધાનસભા સંકુલના પ્રથમ માળે આવેલા પોડિયમમાં દિવંગત રાષ્ટ્રીય નેતાઓ અને વિધાનસભાના દિવંગત પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રીઓ સહિતના દિવંગત અગ્રણીઓની તસવીર મૂકવાની અને તેમની જન્મતિથિ તથા પુણ્યતિથિએ અંજલી આપવાની પ્રણાલી પ્રસ્થાપિત થયેલી છે.
આ પ્રણાલી અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિ તેમના ધર્મપત્ની અંજલી બહેન રૂપાણી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવી હતી.
તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિના અનાવરણ વેળાએ રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્વર્ગસ્થને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરની અસર! દુશ્મન ડ્રોન પણ ભારતીય સરહદમાં ઘૂસી શકશે નહીં, સેના કરી રહી છે તૈયારી
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું, “ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કર્યું હતું. આ વેળાએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને ધારાસભ્યોની સાથે સ્વર્ગસ્થને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી. તેમજ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા સ્વ. વિજયભાઇ રૂપાણીજી અને અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતો તેમજ પૂર્વ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી. સ્વ. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસમાં આપેલ યોગદાન, તેમજ સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યોએ જનપ્રતિનિધિ તરીકે આપેલ સેવાઓને બિરદાવી તેમના આત્માની પરમ શાંતિ અર્થે પ્રભુ પ્રાર્થના કરી”.