/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/drug-injection-Death.jpg)
અમદાવાદ શહેરમાં દવાના ઓવરડોઝથી એક યુવકના મોતની ઘટના સામે આવી છે. (તસવીર: Freepik/Social Media)
Ahmedabad Crime News: ગુજરાતમાં દારૂબંધી છે છતા અવારનવાર દારુ ભરેલી ટ્રકો રાજ્યમાં પકડાય છે અને લોકો દારુ પીને ધિંગાસિયા કરતા પણ જોવા મળે છે. પરંતુ નશો કરવા માટે લોકો દારુ સિવાય પણ કેટલાક નશીલા પરદાર્થોનું સેવન કરતા રહે છે. ખાસ કરીને યુવાધન નશાના રવાડે ચઢતુ જાય છે. રાજ્ય સરકાર દ્વારા નશાના કાળા કારોબાર પર લગામ કસવાના પ્રયાસો તો કરી રહી છે પરંતુ તે ક્યાંયને ક્યાંય પોલીસની ઢીલી કામગીરીનો કાચો ચિઠ્ઠો ખોલી નાંખે છે. ત્યારે હવે અમદાવાદમાં નશા માટે દવાનો ઉપીયોગ થવો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગે છે.
અમદાવાદમાં નશીલી દવાઓનો વેપાર દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં દવાના ઓવરડોઝથી એક યુવકના મોતની ઘટના સામે આવી છે. ત્રણ દિવસ અગાઉ શહેરના ઈસનપુર ખાતે એક યુવકનું નશીલી દવાનું ઇન્જેક્શન ઓવરડોઝ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતક યુવકની માતાની ફરિયાદના આધારે પોલીસે ઇન્જેક્શન આપનાર મિત્રની ધરપકડ કરી છે.
નશો કરવા માટે કમ્પાઉન્ડરે ઈન્જેક્શન આપ્યું
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં 6 ડિસેમ્બરના રોજ 18 વર્ષીય યુવક પ્રિન્સ શર્મા અને તેના બે મિત્રો એકઠા થયા હતા. જ્યાં જયદીપ સુથારે પ્રિન્સ શર્માને નશો કરવા માટે મેડાઝોલમ નામનું ઇન્જેક્શન આપ્યું હતું. જેના ઓવરડોઝને કારણે પ્રિન્સ શર્મા બેભાન થયો હતો. જે બાદ પ્રિન્સને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પ્રિન્સની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્જેક્શન આપનાર જયદીપ સુથારની રાજસ્થાનથી ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે મૃતક પ્રિન્સ દેહગામ ખાતે મોનાર્ક યુનિવર્સિટીમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
આ પણ વાંચો: અમદાવાદથી દેશના આ ચાર શહેરો માટે સીધી ફ્લાઇટ શરૂ, જાણો ટાઈમ ટેબલ
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછ સામે આવ્યું કે ઇન્જેક્શન આપનાર જયદીપ સુથાર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે ત્રણ મહિનાથી નોકરી કરતો હતો. જયદીપ સુથાર દ્વારા પ્રિન્સને મેડાઝોલમ નામનું ઇન્જેક્શન આપ્યું હતું પરંતુ તે વધુ માત્રામાં અપાય જતા પ્રિન્સ બેભાન થયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.
ચોરીના પ્લાનમાં ઈન્જેક્શનનો ઉપયોગ કરતા યુવકનું જ મોત
અમદાવાદમાં ચાર વર્ષ અગાઉ થયેલા યુવકના મોતની મિસ્ટ્રી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી હતી. 12 માર્ચ 2020 ના રોજ અમદાવાદ ગ્રામીણ અસલાલી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ઓડ ગામમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવક કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં મૃતકનું નામ નીલેશ પરમાર હોવાનું સામે આવ્યું હતું. જે અમદાવાદના શાહીબાગ વિસ્તારનો રહેવાસી હતો અને છૂટકમજૂરી કરી જીવન જીવતો હતો. પરંતુ તેના મોત મામલે તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. નિલેશન મોત મામલે તપાસ કરતાં પોલીસના રડારમાં એક મહિલા સહિત કુલ 6 લોકોની માહિતી સામે આવી જેમાં ભારતી જૈન, પ્રવીણ દુબે, યોગેશ ઉર્ફે ભૂરો કોષટી, કમલેશ સોલંકી, રાકેશ કોષ્ટી અને જીગ્નેશ સોલંકીના નામ અને વિગતો સામે આવી હતી. જેમાં ભારતી જૈન નામની મહિલાને લાખો રૂપિયાનું દેવું થતાં તેણે ચોરીનો એક પ્લાન બનાવ્યો હતો. જેમાં એક વૃદ્ધને બેભાન થવાનું ઇન્જેકશન આપી તેના ઘરમાં ચોરીનું કાવતરું ઘડ્યું હતું. જોકે વૃદ્ધને બેભાન કરવા માટે દવા પ્રવીણ દુબે લાવ્યો હતો. પરંતુ ચોરી કરવા માટે કોઈ પણ વ્યક્તિ તૈયાર ના થતાં આખરે મૃતક નિલેશને બોલાવવામાં આવ્યો અને નિલેશે ચોરી પહેલા બેભાન થવાની દવાની અસર કેટલો સમય રહે છે તે જાણવા માટે જાતે જ ઇન્જેકશન લીધું હતું. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આમ અહીં પણ ઈન્જેક્શનના ઓવરડોઝના કારણે યુવકનું મોત નિપજ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us