vadodara Communal riots : વડોદરામાં રામનવમી (Ramnavmi) શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો શરૂ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા ફતેપુરા જરીગર મહોલ્લા પાસે પહોંચી ત્યારે આ ઘટના બની હતી, ત્યારબાદ દોડધામ મચી ગઈ હતી. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. કોમી છમકલુ વણસે તે પહેલા તેને કાબુમાં કરવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રામનવમી પ્રસંગે આજે દર વર્ષની જેમ બજરંગ દલ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમયે શોભાયાત્રા રંગે ચંગે શહેરમાં ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. જેને પગલે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ગંભરતાથી ઘટના સ્થળ પર સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
શહેરમાં કોમી ભડકો વકરે નહીં તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અચાનક પથ્થરમારો થયા બાદ, ટપોટપ દુકાનો બંધ થઈ ગઈ હતી. શહેર ભરમાં માહોલ ખરાબ થઈ ગયો હતો. કેટલીક જગ્યા પર ઉશ્કેરાયેલા ટોળાએ લારી અને વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના પણ સામે આવી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડફોડની ઘટના સામે આવી છે.

પોલીસે તુરંત ગંભરતાથી કાર્યવાહી શરૂ કરી અટકાયતી પગલા ભરવાનું શરૂ કરી દીધુ છે. બીજી બાજુ બજરંગ દળના કાર્યકરોઓ તેની અટકાયત કે ધરપકડ થશે તો શહેર ભડકે બળશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે.

બજરંગદળના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે, શાંતીપુર્ણ રીતે શોભાયાત્રા નીકળી રહી હતી તે સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થરમારો શરૂ કરી માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. પોલીસે સંવેદનશિલ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે, અને તોફાનીઓની અટકાયત કરવાના પગલા શરૂ કર્યા છે.
બીજી એક પત્થમારાની ઘટના સાંજે કુંભારવાડામાં નીકળેલી શોભાયાત્રામાં થઇ હતી. પોલીસના મતે ફતેહપુરા ક્ષેત્રમાં થયેલી ઘટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયા નથી. જ્યારે કુંભારવાડામાં એક મહિલા સહિત નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સ્થાનીય ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ તે શોભાયાત્રાનો ભાગ હતા. જેમાં કુંભારવાડામાં પત્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે શોભાયાત્રા શાંતિપૂર્વક પસાર થઇ રહી હતી તે સમયે કેટલાક લોકોએ અચાનક અમારી પર પત્થરમારો શરૂ કર્યો હતો. શોભાયાત્રામાં સામેલ કેટલીક મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી. પોલીસ કાનૂન વ્યવસ્થા બનાવી રાખવાનો પુરો પ્રયત્ન કરી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મને ફોન કર્યો અને જમીની સ્થિતિની માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, રામનવમીની સાથે રમઝાન માસની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. પોલીસે હિન્દુ અને મુસ્લીમ બંને સમાજના અગ્રણીઓ વચ્ચે આ પહેલા શાંતી સમિતિની બેઠક યોજી હતી. આજે દેશભરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરમાં કોમી છબકલુ થયાના સમાચાર શહેરભરમાં ફેલાતા ચકચાર મચી ગઈ હતી.