ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો એક નવો વીડિયો સામે આવ્યો છે. મળેલી જાણકારી પ્રમાણે અમૃતપાલ દેશની રાજધાની નવી દિલ્હીના મધુવિહાર વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સિંહ 21 માર્ચે અહીં આવ્યો હતો. વીડિયોમાં અમૃતપાલ પગડી વગર જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલ સિંહે પોલીસને ચકમો આપવા માટે નવો લુક અપનાવી લીધો છે.
પંજાબ સરકારે કહ્યું – જલ્દી પકડાઇ જશે અમૃતપાલ
આ પહેલા મંગળવારે પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કહ્યું કે અમૃતપાલ સિંહને જલ્દીથી પકડી લેવામાં આવશે. પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દે ના સદસ્યો સામે કાર્યવાહી શરુ કરી હતી. આ પછીથી અમૃતપાલ ફરાર છે.
જસ્ટિસ એનએસ શેખાવતની કોર્ટમાં વકીલ ઇમાન સિંહ દ્વારા કેદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં અમૃતપાલ સિંહને કથિત પોલીસની હિરાસતમાંથી છોડવાની વિનંતી કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અમૃતપાલ સિંહ પોલીસની અવૈધ અટકાયતમાં છે. સુનાવણી દરમિયાન પંજાબના એટોર્ની જનરલ વિનોદ ઘઇએ જણાવ્યું કે અમૃતપાલની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહ નેપાળમાં સંતાયો? ભારતે પત્ર લખી કહ્યું – અહીંથી કોઇ બીજા દેશમાં ના ભાગી જાય
અમૃતપાલની સોમવારે પણ એક તસવીર સામે આવી હતી
સોમવારે સોશિયલ મીડિયા ઉપર અમૃતપાલની એક તસવીર સામે આવી હતી. જેમાં અમૃતપાલ અને તેના સાથીદાર પાપલપ્રીતના હાથમાં ડ્રિંકનું કેન છે. આ સમયે તે એકદમ બિન્દાસ જોવા મળ્યો હતો. અમૃતપાલે મરૂન કલરની પગડી પહેરી હતી. જે તેણે ભાગતી વખતે પહેરી હતી. પરંપરાગત વાદળી પાઘડી નથી જે તે શીખ ઉપદેશક તરીકે પહેરતો હતો. પંજાબ પોલીસ દ્વારા અગાઉ જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજમાં તે કથિત રીતે મરૂન પગડીમાં જોવા મળ્યો હતો