Mahender Singh Manral : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈન્ટેલિજન્સ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગયા વર્ષે ઓગસ્ટમાં ભારત પરત ફરતા પહેલા વારિસ પંજાબ દે નો ભાગેડુ પ્રમુખ અમૃતપાલ સિંહ જ્યોર્જિયા ગયો હતો જ્યાં તેણે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલે જેવો દેખાવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હતી.
ભિંડરાવાલે જેવા દેખાવા માટે કરાવી કોસ્મેટિક સર્જરી
સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલના નજીકના સહયોગીઓ જે હવે ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમણે પૂછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તે જ્યોર્જિયામાં લગભગ બે મહિના રહ્યો હોવાના અહેવાલ છે. એક અધિકારીએ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોએ ઇન્ટેલિજન્સ અધિકારીઓને કહ્યું કે તે ભિંડરાવાલે જેવા દેખાવા માટે સર્જરી માટે જ્યોર્જિયા ગયો હતો. અધિકારીએ એ પણ કહ્યું કે તેઓ આ જાણકારીની પૃષ્ટી કરી રહ્યા છે.
અમૃતપાલ 18 માર્ચથી ફરાર છે
અમૃતપાલ 18 માર્ચથી ફરાર છે. તેના ઘણા સીસીટીવી સામે આવ્યા હોવા છતા તે પોલીસની પકડમાં આવ્યો નથી. બીજી તરફ તેના કાકા હરજીત સિંહ અને દલજીત સિંહ કલસી સહિત તેના આઠ નજીકના સાથીઓની ધરપકડ કરીને ડિબ્રુગઢ મોકલવામાં આવ્યા છે. હાલમાં જ ઈન્ટેલિજન્સ અધિકારીઓની એક ટીમ તેમની પૂછપરછ કરવા ત્યાં ગઈ હતી.
આ પણ વાંચો – અમૃતપાલે રજૂ કર્યો વધુ એક વીડિયો, ઝડપથી પબ્લિકમાં આવીશ, સરબત ખાલસા બોલાવો
ગુપ્તચર એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પંજાબી અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુના મોત બાદ અમૃતપાલ ગયા વર્ષે ઓગસ્ટમાં કેવી રીતે અચાનક દેખાયો અને વારિસ પંજાબ દેના નેતા તરીકેની જવાબદારી સંભાળી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ખેડૂતોના વિરોધ દરમિયાન અમૃતપાલે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ મુકી હતી અને તે કેટલાક લોકોના સંપર્કમાં હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે અમૃતપાલ દુબઈમાં હતો ત્યારે તે પાકિસ્તાનમાં હોવાની શંકા ધરાવતા ખાલિસ્તાની ઓપરેટિવ લખબીર સિંહ રોડેના ભાઈ જસવંત સિંહ રોડે અને આતંકવાદી પરમજીત સિંહ પમ્માના સંપર્કમાં હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સંગઠનને પાકિસ્તાનમાંથી ભંડોળ મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેનો ઉપયોગ વ્યક્તિગત દેવાની ચૂકવણી માટે પણ કરવામાં આવતો હતો.