માફિયા ડોનમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં શનિવાર રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા બાદ ઉત્તર પ્રદેશમાં હડકંપ મચી ગયો અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મોડી રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં રાજ્યના પોલીસ અધિકારીઓને ઉચ્ચ સતર્ક રહેવા અને સાવધાન રહેવાનો આદેશ આપ્યો છે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની ખાતરી કરવાની સૂચના આપી હતી.મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, “યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને સતર્ક રહેવા, રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેના નિર્દેશ આપ્યો છે.”
મુખ્યલ સેક્રેટરી ગૃહ અને ડીજીપી પ્રયાગરાજ પહોંચ્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને આ ઘટના અંગે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મુખ્યમંત્રીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે. અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” મુખ્યમંત્રીના ઘરે યોજાયેલી આ બેઠકમાં યુપીના ગૃહ સચિવ સંજય પ્રસાદ, યુપીના પોલીસ ડીજીપી આરકે વિશ્વકર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ તેમજ ડીજીપી આરકે વિશ્વકર્મા સવાહે ખાસ વિમાનથી પ્રયાગરાજ આવી રહ્યા છે.
આ અનિશ્ચિય ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ સૈનિકોને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળ છાવણીમાં ફેરવાઇ ગયું છે. પ્રયાગરાજ પોલીસ ઉપરાંત STFએ પણ સ્થળ પર પુરાવા એકત્ર કર્યા હતા. રેપિડ એક્શન ફોર્સ (RAF) અને PAC સમગ્ર શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી આરકે વિશ્વકર્મા અને સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર એન્ડ ક્રાઈમ પ્રશાંત કુમાર સતત નજર રાખી રહ્યા છે.
પુત્ર અસદના એન્કાઉન્ટરના બે દિવસ બાદ અતીકની પણ હત્યા
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક એન્કાઉન્ટરમાં પુત્ર અસદની હત્યા થયાના બે દિવસ બાદ જ માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને શનિવારે પ્રયાગરાજમાં તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે 3 હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે પ્રયાગરાજમાં અતીક અહેમદ, અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કર્યા બાદ તમામ જિલ્લામાં કલમ – 144 લાગુ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ અતીક અહમદના ‘આતંક’નો અંત : વાંચો રાજનેતા થી ગેંગસ્ટર બનવા સુધીની કહાણી
હત્યાકાંડની તપાસ માટે ન્યાયિક સમિતિ રચાઇ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે રાત્રે પ્રયાગરાજમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યાની તપાસ માટે ત્રણ સભ્યોની ન્યાયિક સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રી, ડીજીપી આરકે વિશ્વકર્મા અને વિશેષ ડીજી, કાયદો અને વ્યવસ્થા, પ્રશાંત કુમાર વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પંચના સભ્યોના નામ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા ન હતા.