દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હવે ઇડીએ ધરપકડ કરી છે. તેમની આ ધરપકડ મની લોન્ડ્રીંગ કેસમાં થઇ છે. મનીષ સિસોદિયાની તિહાડ જેલમાં લગભગ 8 કલાકની પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી છે. ઇડીની આ કાર્યવાહી પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે મનીષની પહેલા સીબીઆઈએ ધરપકડ કરી. સીબીઆઈને કોઇ સાબિતી ના મળી, રેડમાં કોઇ પૈસા ના મળ્યા. કાલે જામીન પર સુનાવણી છે. કાલે મનીષ છુટી જાત. તો આજે ઇડીએ ધરપકડ કરી લીધી. તેમનો એક જ ઉદ્દેશ્ય છે મનીષને કોઇપણ ભોગે અંદર રાખવો છે. રોજ નવા નકલી કેસ બનાવીને. જનતા જોઈ રહી છે. જનતા જવાબ આપશે.
આ પહેલા મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીના રોજ લીકર પોલિસી કેસ મામલામાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. રાઉજ એવેન્યૂ કોર્ટે મનીષને 20 માર્ચ સુધી ન્યાયિક હિરાસતામં મોકલી દીધા હતા. આવામાં સીબીઆઈ પાસે જામીનની માંગણી કરી રહેલા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો – ભાજપ અને ટિપરા મોથા બન્નેની જીત : ભાજપ સદનમાં સારી સંખ્યામાં પહોંચશે, પ્રદ્યોતને આદિવાસી અધિકારો અંગે વચન મળ્યું
મનીષ સિસોદિયાને આવતીકાલે ઇડી દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવશે. આવતીકાલે સીબીઆઈના ધરપકડના મામલામાં પણ જામીનની સુનાવણી થવાની સંભાવના છે.
શું છે આરોપ
મનીષ સિસોદિયા અને અન્ય પર શરાબ કાર્ટેલાઇઝેશનની મંજૂરી આપવા અને દિલ્હી શરાબ નીતિ તૈયાર કરવામાં કેટલાક ડીલરોનો પક્ષ લેવાનો આરોપ છે. જોકે આમ આદમી પાર્ટીએ કોઇપણ પાસેથી લાંચ લેવાથી ઇન્કાર કર્યો છે. બીજી તરફ બીજેપીએ કહ્યું કે જો તમને કાંઇ ખોટું નહીં કરવાનો વિશ્વાસ છે તો તમે શરાબ નીતિને પાછી ખેંચી ના હોત.
દિલ્હી શરાબ નીતિ મામલા સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરનાર અન્ય એક પ્રમુખ નેતા કે કવિતા છે. તે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી છે. તેને પણ ઇડીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.