Kailash Mahto Shot Dead: કૈલાશ મહતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી , બિહારના કટિહાર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે જનતા દળ (યુનાઈટેડ)ના વરિષ્ઠ નેતા કૈલાશ મહતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કટિહારના બરારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં મહતો પર ચારથી પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. કહેવાય છે કે, બે ગુનેગારો અચાનક બાઇક પર કૃષિ ફાર્મ ચોક પાસે પહોંચ્યા અને JDU નેતા પર ગોળીબાર કર્યો.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કટિહાર એસડીપીઓ ઓમ પ્રકાશે કહ્યું, “અમે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. લગભગ 4-5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ જ વધુ વિગતો આપી શકાશે.
પોસ્ટ મોર્ટમ બાદ સ્પષ્ટ થશે કેટલી ગોળી વાગી
એવું કહેવાય છે કે, જેડીયુ નેતા કૈલાશ મહતો પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં તેમને બે થી ત્રણ ગોળી વાગી છે. એક ગોળી ગળાની વચ્ચે વાગી હતી. ફાયરીંગ કર્યા બાદ હુમલાખોરો હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયા હતા. અહીં સ્થાનિક લોકો તરત જ કૈલાશ મહતોને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર બુરારી લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હોસ્પિટલના ડોક્ટર રણજીત કુમારે જણાવ્યું કે, ‘કૈલાશ મહતોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેના હૃદયની નીચે બે ગોળીના નિશાન છે. કેટલી ગોળી ચલાવવામાં આવી તે પોસ્ટ મોર્ટમ બાદ જ ખબર પડશે.
ઘટનાની માહિતી મળતા જ બરારી પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષ કુમાર રજક પોલીસ દળ સાથે હોસ્પિટલ પહોંચ્યા. ઘટનાસ્થળે એસડીપીઓ ઓમ પ્રકાશ, કોડા ઈન્સ્પેક્ટર અનમોલ કુમાર યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી. બ્લોક વિસ્તારમાંથી સેંકડો લોકો હોસ્પિટલમાં એકઠા થયા હતા.
હુમલાખોરોની જલ્દી ધરપકડ થવી જોઈએ
જેડીયુ બ્લોક પ્રમુખ મનોજ સિંહ કુશવાહા, મુખ્ય પ્રતિનિધિ મોહમ્મદ ઇલ્યાસ, જિલ્લા પરિષદના સભ્ય ગુનસાગર પાસવાન, વડા પ્રતિનિધિ મશકુર આલમ વગેરેએ જણાવ્યું કે, તેઓએ તાજેતરમાં પોલીસ અધિક્ષક અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓને તેમના જાન-માલની સુરક્ષા માટે અરજી કરી છે. મહતોની ડેડ બોડીને પોસ્ટમાર્ટમ માટે કટિહાર હોસ્પિટલ મોકલવામાં આવી છે. કટિહાર પોલીસ અનુસાર, મહતોની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. મહતો 70 વર્ષના હતા.
આ પણ વાંચો – નક્સલવાદીઓ માટે ફેબ્રુઆરીથી જૂન શા માટે હુમલાની મોસમ? આ વર્ષે અઢી મહિનામાં જ તોડ્યો 2021-22 નો રેકોર્ડ
મહતોની હત્યાને લઈ ધારાસભ્ય વિજય સિંહ, સાંસદ દુલાલ ચંદ ગોસ્વામીએ મહતોની હત્યાને લઈને ડીએમ અને એસપી સાથે વાત કરી છે. તેમણે બદમાશોની વહેલી તકે ધરપકડ કરવા જણાવ્યું છે.