/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/bajrang-sena.jpg)
બજરંગ સેનાના સભ્યોએ કમલનાથને ગદા અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું અને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા (Express Photo)
Bajrang Sena Joining Congress : આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા રાજકીય હલચલ તેજ થઈ ચૂકી છે. જેનું એક ઉદાહરણ ત્યારે સામે આવ્યું જ્યારે હિન્દુ સંગઠન બજરંગ સેનાએ ઢોલના નાદ વચ્ચે ઈન્દિરા ભવન સ્થિત મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર પહોંચીને જાહેરાત કરી હતી કે તેઓ હવે કોંગ્રેસ સાથે છે. આ પ્રસંગે મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ કમલનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. બજરંગ સેનાના સભ્યોએ કમલનાથને ગદા અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું અને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
આ સમાચાર સામે આવ્યા બાદ અનેક ચર્ચાઓ અને પ્રશ્નો ઊભા થયા હતા. શું કમલનાથ કોંગ્રેસના નેતૃત્વમાં વૈચારિક રીતે મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે? આ શું સોફ્ટ હિન્દુત્વની એક ઝલક છે અને શરૂઆત છે?
કમલનાથનું હિન્દુત્વનું કાર્ડ
આ પહેલીવાર નથી કે કમલનાથે આ દિશામાં પગલા ભર્યા હોય, પરંતુ આ પહેલા પણ તેઓ અનેક પ્રસંગોએ પોતાને હનુમાન ભક્ત બતાવ્યા છે. તેમણે ભગવાન રામના ભક્તો માટે ઘણા મોટા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેમણે પોતાના રાજકીય વિસ્તાર છિંદવાડામાં એક વિશાળ હનુમાન પ્રતિમા સ્થાપિત કરી છે. બજરંગ સેનાનું વિલીનીકરણ એ અત્યાર સુધીનું સૌથી મોટું ઉદાહરણ છે કે કમલનાથના મનમાં શું ચાલી રહ્યું છે.
હિંદુત્વવાદી સંગઠન બજરંગ સેનાનું લક્ષ્ય ગાય અને હિન્દુ સંતોનું રક્ષણ કરવાનું, ગાયના આશ્રયસ્થાનોનું નિર્માણ કરવાનું અને મંદિરના પૂજારીઓને માસિક સ્ટાઈપેન્ડ આપવાનું છે. કોંગ્રેસમાં સંગઠનની એન્ટ્રી ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા નેતા દીપક જોશીએ કરી છે, જેમના પિતા સ્વર્ગીય કૈલાશ જોશીએ એક સમયે એમપીમાં ભાજપ સરકારનું નેતૃત્વ કર્યું હતું.
મે મહિનામાં કોંગ્રેસમાં જોડાયેલા દીપકે કહ્યું હતું કે પ્રદેશ ભાજપના નેતૃત્વએ તેમને સાઈડલાઈન કરી દીધા હતા. આ માટે તેઓ ભાજપને પાઠ ભણાવશે. તેમણે કહ્યું કે બજરંગ સેનાને કોંગ્રેસમાં ભેળવવા માટે મેં ઘણી બેઠકો યોજી હતી અને કોંગ્રેસ પણ તે વિચાર સાથે કામ કરી છે જેનું બીડું બજરંગ સેનાએ ઉઠાવ્યું છે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીને દેશના લોકતંત્રથી વધારે બહારની તાકાત પર ભરોસો, સ્મૃતિ ઇરાનીનો કોંગ્રેસના નેતા પર પ્રહાર
બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રણવિર પટેરિયાનું કહેવું છે કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. બુંદેલખંડ ક્ષેત્રના છતરપુર જિલ્લામાં 10 વર્ષ પહેલાં સ્થપાયેલી બજરંગ સેના અત્યારે 12થી વધુ રાજ્યોમાં શાખાઓ ધરાવે છે. જેમાં આખા ભારતમાં ઘણા લાખ સભ્યો છે. બજરંગ દળના ભૂતપૂર્વ નેતા પેટેરિયા તેના સ્થાપકોમાંથી એક છે.
બજરંગ સેનાની રચના કેવી રીતે થઈ?
બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રણવિર પટેરિયાએ બજરંગ સેના બનવાની અને બજરંગ દળમાંથી હટી જવાની કહાની વિશે કહ્યું કે હું જે કરી રહ્યો હતો તે તેમને ગમ્યું નહીં. હું સેંકડો બાઇક રેલી યોજવામાં સફળ રહ્યો હતો, જ્યારે તેઓ તેમના કાર્યક્રમો સુધી મર્યાદિત હતા. તેઓએ મારા પર વિવિધ પ્રકારનું દબાણ કર્યું હતું અને પછી મેં હાર માની લીધી હતી. તે પછી મને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા બજરંગ સેનાની સ્થાપના કરવા માટે સમજાવવામાં આવ્યા હતા અને પછી અમે આ સંગઠનની રચના કરી હતી.
મધ્યપ્રદેશમાં અમે માત્ર કોંગ્રેસ સાથે જ છીએ
કોંગ્રેસમાં વિલય અંગે બજરંગ સેનાના દિલ્હી એકમના વડા ભૂપેન્દ્ર સિંહે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશમાં ભાજપને ઝટકો આપવા માગતા હતા. અમે અન્ય કોઈ રાજ્યમાં કોંગ્રેસમાં જોડાયા નથી, અમે માત્ર આ પ્રયોગ અજમાવવા માંગીએ છીએ.
બજરંગ સેનાના નેતાઓનું કહેવું છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સક્રિયપણે પ્રચાર કરશે. અમે દરેક ગામમાં જઈશું અને તેમને કહીશું કે કમલનાથ હનુમાન ભક્ત છે અને રાજ્યભરમાં ગૌશાળઓ બનાવશે. તે આપણા હિન્દુ ધર્મના સમર્થક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us