Karnataka Election 2023: કર્ણાટક વિધાનસભા માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ પણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનને ઝેરી સાપ કહ્યાના લગભગ ચાર દિવસ પછી તેમના પુત્ર પ્રિયાંક ખડગેએ સોમવારે વડા પ્રધાન વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલીને વધુ એક વિવાદ ઉભો કર્યો છે. પ્રિયાંક ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહ્યું હતું કે જો ઘરનો દીકરો નાલાયક હોય તો ઘર કેવી રીતે ચાલશે.
સોમવારે કર્ણાટકના ગુલબર્ગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રિયાંક ખડગેએ પીએમ મોદી તરફ ઈશારો કરતા કહ્યું કે, જો ઘરનો દીકરો નાલાયક છે તો પછી ઘર કેવી રીતે ચાલશે? પ્રિયાંક ખડગે બંજારા સમાજની એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યારે તમે ગુલબર્ગ આવ્યા ત્યારે તમે બંજારા સમુદાયને ચિંતા ન કરવા કહ્યું હતું. તમે એમને કહ્યું કે બનારસનો દીકરો દિલ્હીમાં બેઠો છે.
પ્રિયંક ખડગેએ કહ્યું કે પીએમ મોદીએ પોતાને બંજાર સમુદાયના પુત્ર ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં જો પુત્ર નાલાયક છે, તો પછી ઘર કેવી રીતે ચાલશે? તેમણે કહ્યું કે પીએમ મોદીએ બંજારા સમાજનો પુત્ર હોવાનો દાવો કરીને તેમના માટે અનામતની સમસ્યા ઉભી કરી દીધી છે.
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરી સાપ કહ્યા હતા
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીને સાપ ગણાવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારશો કે તે ઝેર છે કે નહીં, પરંતુ જો તમે તેનો સ્વાદ ચાખશો, તો તમે મરી જશો. જોકે ભાજપના ચોતરફી હુમલા અને ચૂંટણીનો માહોલ જોતા ખડગેએ તરત જ પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેમનું નિવેદન પીએમ મોદી માટે નથી. તેઓ ભાજપની વિચારધારાને સાપની જેમ ઝેરી ગણાવી રહ્યા હતા.
આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ખડગેએ મોદીને ‘ઝેરી સાપ’ કહ્યા તો ભાજપે સોનિયાને ‘વિષકન્યા’ કહ્યા
કર્ણાટકમાં બંજારા સમુદાય માટે અનામતની સ્થિતિ શું છે?
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં અનામતને લઈને અનેક નિર્ણયો લીધા છે. એવામાં સરકારે એસસી કેટેગરીમાં આવતી પેટા જાતિઓ માટે આંતરિક અનામતની વ્યવસ્થા કરી છે. બંજારા સમુદાય રાજ્યમાં અનુસૂચિત જાતિના રિઝર્વેશનનો લાભાર્થી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાતથી બંજારા સમુદાયમાં અનામત ઓછી થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારની જૂની વ્યવસ્થામાં 10 ટકા અનામતની અંદર પોતાની દાવેદારી રજુ કરતા હતા પરંતુ નવી વ્યવસ્થામાં તેમણે 4.5 ટકા અનામતની અંદર જ પોતાનો દાવેદારી નોંધાવવી પડશે.
કોણ છે પ્રિયાંક ખડગે?
મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી તેમનો પુત્ર પ્રિયાંક ખડગે પહેલીવાર ચૂંટણી લડી રહ્યો છે. પ્રિયાંક કર્ણાટકની ચિત્તાપુર વિધાનસભા સીટથી કોંગ્રેસનો ઉમેદવાર છે. કર્ણાટકની રાજનીતિમાં આગળ વધવા માટે પ્રિયાંકે આ ચૂંટણી જીતવી ઘણી મહત્વપૂર્ણ છે. જે તેનું આગળનું ભવિષ્ય નક્કી કરશે.