Karnataka Assembly Election Results 2023 Updates : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો ધીમે-ધીમે સામે આવી રહ્યા છે. અત્યાર સુધી જે વલણો સામે આવ્યા છે તેમાં કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ પરાજય ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી 2024માં પણ ફટકો આપી શકે છે. આ વલણો પરથી લાગી રહ્યું છે કર્ણાટકમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. જોકે કોંગ્રેસમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને મોટો સવાલ છે. કર્ણાટક કોંગ્રેસના બે દિગ્ગજ નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર છે.
સિદ્ધારમૈયા
કર્ણાટકના સૌથી મોટા કોંગ્રેસી નેતા અને પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ફરી એકવાર મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધીની પણ નજીક છે, તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડનો વિશ્વાસ જીત્યો છે. સિદ્ધારમૈયાએ 2013થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રીના રુપમાં કાર્ય કર્યું છે. તે કુરુબા સમુદાયથી આવે છે અને રાજ્યના જૂના મૈસુર ક્ષેત્રમાં તેમનો મજબૂત આધાર છે. સિદ્ધારમૈયા વરુણાથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી છે. આ સીટ પરથી પહેલા પણ બે વખત જીતી ચુક્યા છે.
આ પણ વાંચો – દેશ માટે આખરે કેમ આટલું મહત્ત્વપૂર્ણ છે કર્ણાટક? આંકડાથી સમજો પૂરી કહાની
ડીકે શિવકુમાર
કોંગ્રેસમાં ડીકે શિવકુમારની પણ મુખ્યમંત્રી તરીકેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. સૌથી અમીર રાજનેતા, પાર્ટીના સંકટમોચક અને સતત 8 ટર્મથી ધારાસભ્ય છે. ડી કે ઘણા સમયથી મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા છે 2018માં પણ તેમણે તે પહેલા જ પોતાની મહત્વકાંક્ષા બતાવી હતી પરંતુ દરેક વખતે તક હાથમાંથી જતી રહી. હાલ તો આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પાર્ટીને ફંડની પણ જરૂર પડશે, તેથી ડીકે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. શિવકુમારની છાપ એક કદાવર નેતાની છે. તેમને પાર્ટીનો આધાર બનાવવા માટે ઓળખવામાં આવે છે. તેમની પાસે વોક્કાલિગા સમુદાયનો મજબૂત વોટનો આધાર છે. શિવકુમાર કનકપુરા સીટથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી છે.
સિદ્ધારમૈયાના પુત્રએ કહ્યું – મુખ્યમંત્રીનું પદ તેના પિતાને મળવું જોઈએ
સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રએ મુખ્યમંત્રીનું પદ તેના પિતાને મળવું જોઈએ તેવું નિવેદન કર્યું છે. યતીન્દ્રએ કહ્યું કે મારા પિતાને મુખ્યમંત્રીનું પદ મળવું જોઈએ. તેમના નેતૃત્વમાં જ કોંગ્રેસ પોતાના દમ પર સત્તામાં પરત ફરી છે. મારા પિતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે તે કર્ણાટકના હિતમાં રહેશે.