Karnataka Assembly Elections : કર્ણાટકની વિધાનસભા ચૂંટણી પહેલા બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનું કોંગ્રેસનું વચન હવે તેને ભારે પડી રહ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા, સાંસદ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઈલીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. અમે અમારા ઢંઢેરામાં પીએફઆઈ અને બજરંગ દળ બંનેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં તમામ (કટ્ટરપંથી) સંગઠનોનો સમાવેશ થાય છે. કોઈ પણ સંગઠન પર પ્રતિબંધ મુકવો શક્ય નથી. કર્ણાટક સરકાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી શકે નહી.
કોંગ્રેસના ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટી બહુમતી અથવા લઘુમતી સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અથવા નફરત ફેલાવતા વ્યક્તિઓ અને સંગઠનો સામે મક્કમ અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમાં આતંકવાદ સાથે કથિત સંબંધોને લઇને કેટલાક રાજ્યોમાં પ્રતિબંધિત મુસ્લિમ સમૂહ પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) અને બજરંગ દળનું નામ સામેલ હતું.
આ પણ વાંચો – પીએમ મોદી બજરંગ દળના બચાવમાં આવ્યા: બજરંગ દળની રચના ક્યારે થઈ? શું છે તેના કાર્યો, શું પ્રતિબંધ મુકાયો છે?
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો આ પ્રસ્તાવ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નફરત ફેલાવનાર નિવેદનો અને ભાષણ કરનારાઓ સામે કેસ નોંધવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશો અંતર્ગત આવ્યો હશે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમાર આ વાતને સાચી રીતે સમજાવી શકશે. રાજ્ય સરકાર કોઈ પણ સંગઠન પર પ્રતિબંધ લગાવી શકતી નથી.
તેમણે ભાજપને એમ પણ કહ્યું હતું કે તે સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલની પૂજા કરે છે. તેમણે યાદ રાખવું જોઈએ કે સ્વર્ગીય વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીની હત્યા બાદ આરએસએસ પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રતિબંધનો આદેશ રદ કર્યો હતો અને કહ્યું હતું કે આ રીતે કોઈ પણ સંગઠન પર પ્રતિબંધ મુકી શકાય નહીં. કારણ કે તેનાથી લોકોની લોકશાહીની ભાવનાને ઠેસ પહોંચશે.