Karnataka Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. કોંગ્રેસની આ જીત પાછળ દક્ષિણ ભારતના બે નેતાઓની ભૂમિકા મહત્વની માનવામાં આવી રહી છે. એક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બીજા કોંગ્રેસના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર.
મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ બનીને કર્ણાટકમાં પક્ષને પુનર્જીવિત કર્યો
મલ્લિકાર્જુન ખડગે વર્ષ 2022માં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બનતા કર્ણાટકમાં પાર્ટીમાં પ્રાણ પૂર્યા છે. કર્ણાટકમાં નિર્ધારિત સીટો પર કોંગ્રેસને તેનો સીધો ફાયદો મળ્યો. મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાંથી 9 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અહીંના રાજકારણમાં તેમનો ખાસ્સો પ્રભાવ રહ્યો છે.
ખડગે 9 વખત કર્ણાટકમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
કર્ણાટકની લગભગ 23 ટકા વસ્તી દલિત છે. રાજ્યમાં 35% બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. મલ્લિકાર્જુન ખડગેના કારણે જ આ બેઠકો પર કોંગ્રેસનો પ્રભાવ વધ્યો હોવાનું માનવામાં આવે છે. કર્ણાટકમાંથી નવ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ખડગેનો આ વિસ્તારમાં સારો પ્રભાવ હતો. જો કે, તેમને અહીં મુખ્યમંત્રી બનવાની તક મળી ન હતી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા બાદ તેઓ કર્ણાટક કોંગ્રેસના સૌથી પ્રભાવશાળી નેતા બની ગયા છે. તેમને પ્રોજેક્ટ કરીને કોંગ્રેસ માટે નબળાં વર્ગનું સમર્થન મેળવવું સરળ બની ગયુ છે.
મલ્લિકાર્જૂન ખડગેની માટે ખાસ કરીને કર્ણાટક વિધાનસભા ચૂંટણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ કર્ણાટકના મૂળ રહેવાસી છે. તેઓ પોતાને કર્ણાટકના ‘ભૂમિ પુત્ર’ ગણાવતા થાકતા નથી. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે અને પોતાના ગૃહ રાજ્યમાં પાર્ટીને જીત અપાવીને ખડગે એ શાનદાર શરૂઆત કરી છે.
મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે – કોંગ્રેસ પ્રમુખ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બેંગલુરુમાં મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “ આગામી દિવસોમાં જ્યાં પણ ચૂંટણીઓ યોજાશે, ત્યાં અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. અહીંયાના ધારાસભ્યોની બેઠક થશે, મુખ્યમંત્રીના નામ પર તમામની સહમતિ હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસની જીત જનતાની જીત છે. લોકોએ ભ્રષ્ટ સરકારને હરાવી છે. અમારે આગળ ઘણું કરવાનું છે. અમારે અમારા વચનો પૂરા કરવાના છે, અમે અમારા 5 વચનો પુરા કરીશું.
કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઇ – રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણા અંગે કહ્યુ કે, કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયુ છે, પ્રેમની દુકાન ખુલી છે. અમે કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા, અમે પ્રથમ કેબિનેટમાં પહેલા દિવસે આ વચનો પૂરા કરીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે આ લડાઇ પ્રેમથી લડી, કર્ણાટકે બતાવ્યું છે કે આ દેશને પ્રેમ ગમે છે.