Kerala Train Fire: કેરળના કોઝિકોડમાં ટ્રેનમાં આગ લગાડવાની ઘટનાનો આરોપી શાહરુખ સૈફી કટ્ટરપંથી છે અને તે વિવાદિત ઇસ્લામિક ઉપદેશક જાકિર નાઇકનો ફોલોવર છે. જાકિર નાઇક પર આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપ લાગ્યા પછી તે દેશ છોડીને ભાગી ગયો છે. કેરળમાં ટ્રેનમાં આગ લાગવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસે આ ખુલાસો કર્યો છે.
શાહરુખ સૈફી ગુના કરવાના ઇરાદાથી જ કેરળ આવ્યો હતો
કેરળ પોલીસે કહ્યું કે 2 એપ્રિલે કન્નુર જતી એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડવાની ઘટનામાં દિલ્હીના શાહીન બાગના નિવાસી 27 વર્ષીય શાહરુખ સૈફી સામે યૂએપીએ (UAPA) લગાડવામાં આવ્યો હતો. કેરળના એડીજીપી એમઆર અજીત કુમારે કહ્યું કે શાહરુખ સૈફી ગુનો કરવાના ઇરાદાથી જ કેરળ આવ્યો હતો. પોલીસે આ ઘટનાના આરોપી શાહરુખ સૈફીને લઇને બધી સાબિતી ભેગી કરી છે. ટ્રેન અગ્નિકાંડમાં ટ્રેનમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જાકિર નાઇકના ભડકાઉ વીડિયોથી વધી નફરત
કોઝિકોડમાં વિશેષ તપાસ દળના પ્રમુખ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એમઆર અજીત કુમારે મીડિયાને જણાવ્યું કે સૈફી વધારે પડતો કટ્ટરપંથી વ્યક્તિ છે. તે નફરત ફેલાવતા અને યુવાઓને આતંકવાદ તરફ ભડકાવવાના આરોપી જાકિર નાઇકના વીડિયોનું અનુસરણ કરી રહ્યો છે. અમે તેના ગુના સાથે જોડાયેલી બધી સાબિતી ભેગી કરી છે. તે જાકિર નાઇકના વીડિયો જોઈ રહ્યો હતો. તે ખતરનાક કટ્ટરપંથી છે અને તે ગુનો કરવાના મજબૂત ઇરાદા સાથે કેરળ આવ્યો હતો.
આ પણ વાંચો – અતીક અને અશરફ અહેમદના મોતના સાત ડગલાંઃ પત્રકારોના ID તપાસાયા નહીં, પોલીસની ‘બેદરકારી’થી ખેલાયો ‘હત્યાંકાંડ’
આતંકનો એંગલ સામે આવ્યા પછી યૂએપીએની કલમ 16 અંતર્ગત કેસ
અજીત કુમારે કહ્યું કે આતંકી એંગલ સામે આવ્યા પછી શાહરુખ સૈફી પર યૂએપીએની કલમ 16 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેની પાસે આગ લગાડવાની સ્પષ્ટ યોજના હતી. એ તપાસ ચાલી રહી છે કે શું તેને આ ગુના માટે કોઇ સ્થાનીય સમર્થન મળ્યું હતું. અમે અત્યાર સુધી તેની દિલ્હીથી કેરળના કોઝિકોડ સુધીની યાત્રા અને અપરાધ પછી મહારાષ્ટ્રમાં રત્નાગિરી સુધી તેની અવરજવરના સંબંધમાં બધી વિગતો એકઠી કરી છે. એડીજીપીએ કહ્યું કે એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે શું તેને કેરળ કે દેશમાં ક્યાં ચરમપંથી સંગઠનો તરફથી સમર્થન મળેલું હતું.
શું છે કેરળમાં ટ્રેનમાં આગ લગાડવાની ઘટના
શાહરુખ સૈફીએ ગત 2 એપ્રિલે કેરળના કોઝિકોડમાં અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસના કોચમાં મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને આઠ લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટના પાછળ શું ઉદ્દેશ્ય હતો તે હજુ પોલીસ જાણી શકી નથી.