Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશમાં રાજકીય તાપમાનનો પારો વધી રહ્યો છે. દેશના મોટા મોટા નેતાઓ અહીં પોતાની પાર્ટીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી છે. ગુરુવારે મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને ઓછામાં ઓછા 100 વર્ષ સુધી કોંગ્રેસને સત્તાથી વંચિત રાખવા કહ્યું હતું.
એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ દેશની પ્રગતિને “રિવર્સ ગિયર”માં લઇ જશે. તમારો એક મત ભાજપને મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવામાં મદદ કરશે. દિલ્હીમાં મોદીને મજબૂત કરવા અને રાજ્યમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં મદદ કરશે.
કોંગ્રેસને ગણાવી હિન્દુ વિરોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને રોકવા માટે કોંગ્રેસે ભગવાન રામને કાલ્પનિક ગણાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે અમે કોંગ્રેસના સમયમાં સરકારી યોજનાનો લાભ લઇ રહેલા લગભગ 10 કરોડ નકલી લાભાર્થીઓને દૂર કર્યા છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ 3 આદિવાસી જાતિનો ઉલ્લેખ કર્યો, જાણો તેની પાછળના 4 રાજકીય કારણો
રેશન યોજના અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન યોજના લંબાવવાનો સંકલ્પ કર્યો છે. પીએમે આ દરમિયાન એમ પણ કહ્યું કે અમારી સરકારે દેશના ગરીબ લોકોને ચાર કરોડ પાકા મકાનો પૂરા પાડ્યા છે.