Ujjain Mahakal : મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભાજપે મોહન યાદવને મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. સીએમ બન્યા બાદ મોહન યાદવ પહેલીવાર ઉજ્જૈન પહોંચ્યા હતા. ઉજ્જૈન વિશે એવી માન્યતા છે કે જે પણ સીએમ અહીં આવે છે તે રાત રોકાતા નથી, કારણ કે જો તે રાત રોકાઈ જાય છે તો તેમની ખુરશી જતી રહે છે.
મોહન યાદવે ઉજ્જૈનમાં વિતાવી રાત
સીએમ બન્યા બાદ મોહન યાદવ પહેલી વાર શનિવારે ઉજ્જૈન પહોંચ્યા હતા અને અહીં રાત વિતાવી હતી. આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે હું ભગવાન મહાકાલનો પુત્ર છું અને હું અહીં રહી શકું છું. કહેવાય છે કે ઉજ્જૈનના રાજા મહાકાલ છે, તેથી બે રાજા અહીં રહી શકતા નથી.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ રિવાજ અપનાવ્યો હતો અને ઉજ્જૈનમાં રાત વિતાવી ન હતી. મુખ્યમંત્રી મોહન યાદવે ઉજ્જૈનમાં ન રોકવવા પાછળની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સિંધિયા મહારાજે પોતાની રાજધાનીને ગ્વાલિયર લઇ જવાની હતી, તેથી તેમણે કોઇ હુમલો ન થાય તે માટે રણનીતિ બનાવી હતી. આથી આ માન્યતા બતાવી હતી. મોહન યાદવે કહ્યું કે રાજા મહાકાલ આખા બ્રહ્માંડના રાજા છે. જો તેમને નુકસાન કરવું જ હોય તો તેઓ ગમે ત્યાં કરી શકે છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીનો વિપક્ષને સ્પષ્ટ જવાબ, કોઇ તાકાત આર્ટિકલ 370ને પાછી લાવી શકશે નહીં
મોહન યાદવે કહ્યું કે મહાકાલ બ્રહ્માંડના રાજા છે અને અમે તેના પુત્રો છીએ, તો પુત્રો કેમ રાત રોકાઇ શકે નહીં? બાબા તો આશીર્વાદ આપે છે. મોહન યાદવે કહ્યું કે હું ઉજ્જૈનનો છું અને તે વાતનો મને આનંદ છે.
કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો
મધ્ય પ્રદેશ કોંગ્રેસે મોહન યાદવ પર કટાક્ષ કર્યો હતો. મોહન યાદવને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવતા કોંગ્રેસની મીડિયા વિંગના વડા કે.કે.મિશ્રાએ કહ્યું હતું કે શું કોઈ સનાતની જણાવશે કે મહાકાલની નગરી ઉજ્જૈનમાં બે રાજાઓ કેવી રીતે રહેશે? આ પછી ચર્ચા શરૂ થઈ કે શું મોહન યાદવ ઉજ્જૈનમાં રાત વિતાવશે? પરંતુ હવે તેમણે ઉજ્જૈન આવીને આ પૌરાણિક માન્યતાને તોડી છે.





