વિધાનસભા ચૂંટણી :  ગઠબંધન પર અખિલેશના કટાક્ષ પછી યુપી કોંગ્રેસના ચીફે કહ્યું, તે મધ્ય પ્રદેશની લડાઈ છોડી ભાજપ સામે અમારું સમર્થન કરે

Madhya Pradesh Assembly Election :  ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે એમ પણ કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ 2024ની લોકસભા ચૂંટણી માટે યુપીમાં ગઠબંધન અંગે નિર્ણય કરશે. તેમણે કહ્યું કે પાર્ટીની યુપી યુનિટ રાજ્યની તમામ 80 સંસદીય બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે

Written by Ashish Goyal
October 19, 2023 17:57 IST
વિધાનસભા ચૂંટણી :  ગઠબંધન પર અખિલેશના કટાક્ષ પછી યુપી કોંગ્રેસના ચીફે કહ્યું, તે મધ્ય પ્રદેશની લડાઈ છોડી ભાજપ સામે અમારું સમર્થન કરે
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (એક્સપ્રેસ ફાઇલ)

Madhya Pradesh Assembly Election 2023 :  મધ્ય પ્રદેશમાં આ વર્ષે 17મી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે, પરંતુ આ બધા વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઉમેદવારો પર સહમત થઈ શક્યા નથી. જે બાદ બન્ને વચ્ચે ફરી તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના યુપી યુનિટના પ્રમુખ અજય રાયે મોટું નિવેદન આપ્યું છે. અજય રાયે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ મધ્ય પ્રદેશ કોંગ્રેસ માટે છોડી દેવું જોઈએ, કારણ કે અખિલેશ યાદવની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટીનો ત્યાં કોઈ આધાર નથી.

મધ્ય પ્રદેશમાં ગઠબંધનની વાટાઘાટો અંગેના ઘટસ્ફોટ વચ્ચે અખિલેશ યાદવે મંગળવારે કહ્યું હતું કે કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષો વચ્ચેના ગઠબંધન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે સીટોની વહેંચણી રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે લાગુ થશે કે નહીં.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા અજય રાયે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં મજબૂત રીતે ઉભી છે, તેથી સમાજવાદી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસને સમર્થન આપવું જોઈએ અને જ્યાં સપાનો કોઇ આધાર નથી ત્યાં ચૂંટણી લડવી ના જોઈએ.

‘સપાએ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી ન લડવી જોઈએ’

જ્યાં સુધી અખિલેશની ચેતવણીનો સવાલ છે, જો કોંગ્રેસ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ ગઠબંધન ઈચ્છે છે, તો ભવિષ્યમાં રાજ્ય સ્તરે આવું નહીં થાય. રાયે કહ્યું કે વર્તમાન મુદ્દો વિધાનસભા ચૂંટણીનો છે. તેમણે કહ્યું કે સપાએ મધ્ય પ્રદેશમાં ચૂંટણી ન લડવી જોઈએ કારણ કે ત્યાં તેમનો કોઈ આધાર નથી. લોકસભાની ચૂંટણીની રાહ જોવી જોઈએ અને પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવવા દેવા જોઈએ.

‘કોંગ્રેસ યુપીની તમામ 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે’

રાયે એમ પણ કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ 2024ની લોકસભા ચૂંટણી માટે યુપીમાં ગઠબંધન અંગે નિર્ણય કરશે. તેમણે કહ્યું કે પાર્ટીની યુપી યુનિટ રાજ્યની તમામ 80 સંસદીય બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. રાયે દાવો કર્યો કે હું ગઈ કાલે કાનપુરમાં હતો અને બુંદેલખંડ સહિત આસપાસના વિસ્તારોના પાર્ટીના નેતાઓ પણ ત્યાં આવ્યા હતા. અમે રાજ્યની તમામ 80 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છીએ.

આ પણ વાંચો – મધ્ય પ્રદેશમાં ‘સેક્યુલર’ કોંગ્રેસ નહીં, કમલનાથનું હિન્દુત્વ ચાલશે, ઉમેદવારોની યાદી અને વચન પત્રે જણાવી રણનીતિ

સમાજવાદી કેમ્પે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે તેમને તે બેઠકો પણ આપી નથી, જે તેમણે 2018ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં જીતી હતી. આ આરોપ પર રાયે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપવું જોઈએ, કારણ કે તેમણે માત્ર એક જ સીટ જીતી હતી, પરંતુ બાદમાં તે ધારાસભ્ય પણ અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

અજય રાયે કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. આથી સપાએ પોતાના દમ પર ચૂંટણી લડવાને બદલે કોંગ્રેસને સમર્થન આપવું જોઈએ. તેમણે કહ્યું કે જો સપા ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે ભાજપને હરાવવા માંગતી હોય તો તેણે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સમર્થન આપવું જોઈએ.

સપાની પોતાની દલીલ

રવિવારે કોંગ્રેસે મધ્ય પ્રદેશની સાતમાંથી ચાર બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી, જ્યાં સપા પહેલેથી જ તેના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે. આ પછી સપાએ વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બુધવારે એસપીએ 22 વધુ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. એસપી દલીલ કરે છે કે તેના મધ્ય પ્રદેશના તર્ક મુજબ, યુપીમાં માત્ર એક સાંસદ અને બે ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે યુપીમાં એસપીને સમર્થન આપવું જોઈએ, જ્યાં તે ભાજપની મુખ્ય હરીફ છે.

2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં સપા-કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું

એસપીએ 2017ની યુપી ચૂંટણી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હતી, જેમાં અખિલેશ અને રાહુલ ગાંધી બંનેએ ગઠબંધનના ઉમેદવારોની તરફેણમાં સંયુક્ત રેલીઓને સંબોધિત કરી હતી. 403 સીટોમાંથી સપા 311 સીટો પર ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસ 114 સીટો પર ચૂંટણી લડી હતી. ત્યારે 11 બેઠકો એવી હતી કે જેના પર બંનેએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ગયા મહિને યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીમાં, કોંગ્રેસે સપાને સમર્થન આપ્યું હતું અને યુપીના ઘોસીમાં તેના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું ટાળ્યું હતું. ત્યાં સપાના ઉમેદવાર સુધાકર સિંહે ભાજપના અગ્રણી ઓબીસી નેતા દારા સિંહ ચૌહાણને 42,759 મતોથી હરાવ્યા હતા.

જોકે ઉત્તરાખંડમાં બાગેશ્વર પેટાચૂંટણીમાં, રાજ્યના રાજકારણમાં નાના ખેલાડી હોવા છતાં સપાએ તેના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો. જે માત્ર 637 મત મેળવી શક્યો હતો. સત્તાધારી ભાજપે કોંગ્રેસને 2,405 મતોથી હરાવીને બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી. આ પેટાચૂંટણીના પરિણામોના પગલે, રાયે બાગેશ્વરમાં કોંગ્રેસની હાર માટે એસપીને દોષી ઠેરવ્યા હતા અને એસપી પર આરોપ મૂક્યો હતો કે તેઓ ઘોસી પેટાચૂંટણીમાં તેમના પક્ષે જે સંકેત આપ્યા હતા તેનાથી વિપરીત “ગઠબંધન ધર્મ” નું પાલન કર્યું ન હતું. બુધવારે અજય રાયની હાજરીમાં સપા નેતા અને પૂર્વ ધારાસભ્ય ગાયદીન અનુરાગી કોંગ્રેસમાં જોડાયા હતા. અનુરાગી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી સપામાં આવી ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ