વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની નવી સંસદના ઉદ્ઘાટનને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરનાર વકીલને ફટકાર લગાવતા કહ્યું કે, અમને ખબર છે કે અરજી દાખલ કરવાનો હેતુ શું છે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે અમને સમજાતું નથી કે તમે આવી અરજીઓ કેમ લઇને આવો છો. અમને કલમ 32 હેઠળ તેના પર વિચારણા કરવામાં રસ નથી.
આ દરમિયાન જસ્ટિસ જેકે મહેશ્વરીએ અરજી દાખલ કરનાર વકીલને પૂછ્યું કે, તે નવી સંસદના ઉદ્ઘાટન સાથે કેવી રીતે સંબંધિત છે? જે બાબતે અરજદાર વકીલે કહ્યું કે, આ કલમ 79 અને 87નું સંપૂર્ણ ઉલ્લંઘન કરે છે. રાષ્ટ્રપતિ સંસદના વડા છે, તેમણે સંસદનું ઉદ્ઘાટન કરવું જોઈએ. એક્ઝિક્યુટિવ હેડ જ એકમાત્ર વડા છે જેમણે નવી સંસદનું ઉદ્ઘાટન કરવું જોઇએ.
પિટિશન દાખલ કરનારા વકીલની દલીલોથી અસંતુષ્ટ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ કેસને રદ કરવા જઇ રહ્યુ હતુ, ત્યારે અરજદારે તેની અરજી પાછી ખેંચવાની મંજૂરી માંગી. આ મુદ્દે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવી જોઈએ નહીં કારણ કે વકીલ આ જ અરજીને હાઈકોર્ટમાં દાખલ કરશે.
તુષાર મહેતાની દલીલ પર અપીલ દાખલ કરનાર વકીલે કહ્યુ કે, તેમની હાઇકોર્ટના દરવાજા ખટખટાવાની કોઇ યોજના નથી. તેઓ તેમની અપીલને પરત ખેંચી રહ્યા છે, જેથી ‘ડિસમિસ સર્ટિફિકેટ’ બનાવવામાં ન આવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની ખંડપીછે પોતાના આદેશમાં નોંધ્યુ કે, અરજદારે થોડાક સમય સુધી દલીલ કર્યા બાદ અપીલ પરત ખેંચવાનો નિર્ણય લીધો કારણ કે અદાલત આ મામલે વિચારણા કરવા ઇચ્છતી નથી.
આ પણ વાંચોઃ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અવસરે સરકાર બહાર પાડશે ₹ 75 નો સિક્કો, જાણો શું હશે ખાસ
તમને જણાવી દઈએ કે, એક અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિવાદી સત્તાધારી પક્ષ – લોકસભા સચિવાલય અને ભારતીય સંઘ-રાષ્ટ્રપતિને (રાષ્ટ્રપતિ)ને ઉદ્ઘાટન માટે આમંત્રણ ન આપીને તેમનું અપમાન કરી રહ્યા હતા.