Rahul Gandhi Interview : લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની ઈમેજ મેકઓવરમાં વ્યસ્ત છે. કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે, ‘ભારત જોડો યાત્રા’ બાદ રાહુલ ગાંધીની છબીમાં બદલાવ આવ્યો છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી પણ બદલાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ઈટાલીના એક અખબારને ઈન્ટરવ્યુ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ સંબંધિત પોતાના અનુભવો ઈટાલીના દૈનિક ‘કોરીરે ડેલા સેરા’ સાથે શેર કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના પરિવાર સાથે જોડાયેલા મુદ્દા વિશે પણ વાત કરી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમના પરિવારમાં તેઓ તેમની ભારતીય દાદી ઈન્દિરા ગાંધીના પ્રિય હતા જ્યારે તેમની બહેન પ્રિયંકા તેમની ઈટાલિયન નાની પાઓલા માઈનોની ફેવરિટ હતી.
ઇન્ટરવ્યુ દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે, તેમણે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા, જેના જવાબમાં તેમણે કહ્યું, “આ વિચિત્ર પ્રશ્ન છે… મને ખબર નથી. ઘણું કરવું છે. પણ મારી ઈચ્છા છે બાળક હોય.” ભારત જોડો યાત્રા દરમિયાન દાઢી ન કપાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, “મેં નક્કી કર્યું હતું કે આખી યાત્રા દરમિયાન હું મારી દાઢી નહીં કપાવીશ. હવે મારે નક્કી કરવાનું છે કે તેને રાખવી કે નહીં…”
પોતાના પરિવાર વિશે વાત કરતાં તેમણે કહ્યું, “હું ભારતીય દાદીનો ફેવરિટ હતો જ્યારે મારી ભાભી પ્રિયંકા ઇટાલિયન નાનીની ફેવરિટ હતી.” તેમણે જણાવ્યું કે, તેમના દાદી 98 વર્ષ જીવ્યા. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “હું તેમની સાથે ખૂબ જ જોડાયેલ હતો, જેમ કે હું અંકલ વોલ્ટર સાથે, પિતરાઈ ભાઈઓ સાથે, આખા પરિવાર સાથે.”
1 ફેબ્રુઆરીએ ઇટાલિયન અખબારમાં પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યુ અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ફાસીવાદ પ્રવેશી ગયો છે કારણ કે લોકતાંત્રિક માળખું તૂટી રહ્યું છે અને સંસદ યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેમણે કહ્યું કે, જો વિપક્ષ ફાસીવાદ સામે વૈકલ્પિક વિચાર રજૂ કરે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં હરાવી શકાય છે.
આ પણ વાંચો – મલ્લિકાર્જૂન ખડગેનો વિપક્ષી નેતાઓને સ્પષ્ટ જવાબ, કહ્યું- 2024 માં કોંગ્રેસ કરશે સરકારનું નેતૃત્વ
રાહુલ ગાંધીએ કહ્યું કે, ફાસીવાદ પહેલાથી જ છે. લોકતાંત્રિક બંધારણો ક્ષીણ થઈ રહ્યા છે. સંસદ હવે કામ કરતી નથી. હું બે વર્ષથી બોલી શક્યો નથી, હું બોલવાનું શરૂ કરૂ ત્યાં જ તેઓ મારો માઇક્રોફોન બંધ કરી દે છે. શક્તિઓ સંતુલિત નથી. ન્યાય સ્વતંત્ર નથી. પ્રેસ હવે સ્વતંત્ર નથી.