Swami Vivekananda Birth Anniversary: સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી, જાણો કેવી રીતે તેમણે વિશ્વને યોગ અને વેદનો પરિચય કરાવ્યો

સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જન્મ જ્યંતિ 12 જાન્યુઆરી ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ કેવી રીતે નરેન્દ્રથી સ્વામી વિવેકાનંદ બન્યા? તેમનुं જીવન ચરિત્ર, શિકાગો વક્તવ્ય અને ભારતીય સંસ્કૃતિમાં તેમના પ્રદાન વિશે વાંચો આ વિશેષ લેખ

સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) જન્મ જ્યંતિ 12 જાન્યુઆરી ને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ કેવી રીતે નરેન્દ્રથી સ્વામી વિવેકાનંદ બન્યા? તેમનुं જીવન ચરિત્ર, શિકાગો વક્તવ્ય અને ભારતીય સંસ્કૃતિમાં તેમના પ્રદાન વિશે વાંચો આ વિશેષ લેખ

author-image
Haresh Suthar
New Update
Swami Vivekananda Chicago Speech National Youth Day India Spiritual Leader

સ્વામી વિવેકાનંદે 1893માં શિકાગોમાં ભારતનું ગૌરવ વધાર્યું હતું. Photograph: (Wikimedia Commons)

Swami Vivekananda Birth Anniversary National Youth Day 2026: ભારતના ઈતિહાસમાં 12 જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે જન્મેલા મહાન આધ્યાત્મિક નેતા અને વિચારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, "તેઓ યુવાનો માટે શાશ્વત પ્રેરણા છે, જે આજે પણ યુવા માનસમાં ઉદ્દેશ્ય અને જુસ્સો જગાડે છે."

Advertisment

19મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે ભારત ગુલામીની સાંકળોમાં જકડાયેલું હતું, ત્યારે વિવેકાનંદે વિશ્વસ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમને સાચા અર્થમાં ‘આધુનિક ભારતના નિર્માતા’ ગણાવ્યા હતા.

નરેન્દ્રથી સ્વામી વિવેકાનંદ સુધીની સફર

12 જાન્યુઆરી, 1863ના રોજ કોલકાતામાં જન્મેલા નરેન્દ્ર નાથ દત્ત બાળપણથી જ અત્યંત તેજસ્વી હતા. પશ્ચિમી ફિલસૂફી, ઇતિહાસ અને ધર્મશાસ્ત્રમાં તેમની ઊંડી રુચિ હતી.

સત્યની શોધ તેમને રામકૃષ્ણ પરમહંસ પાસે લઈ ગઈ, જેઓ તેમના ગુરુ બન્યા. 1886માં ગુરુના અવસાન બાદ, નરેન્દ્રએ સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો અને ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આધ્યાત્મિક જ્ઞાન આપવાનું કાર્ય ઉપાડ્યું.

Advertisment

ખેતડીના મહારાજા અજીત સિંહના સૂચનથી તેમણે પોતાનું નામ 'સચ્ચિદાનંદ' બદલીને 'વિવેકાનંદ' રાખ્યું હતું. આ નામ સાથે તેઓ 1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા, જેણે ઈતિહાસ બદલી નાખ્યો.

શિકાગો વક્તવ્ય: વિશ્વ નતમસ્તક થયું

1893માં શિકાગોમાં આપેલું તેમનું ભાષણ આજે પણ લોકપ્રિય છે. જ્યારે તેમણે સંબોધનની શરૂઆત "અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો" શબ્દોથી કરી, ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

વિવેકાનંદે તેમના વક્તવ્યમાં ધાર્મિક સહિષ્ણુતા અને વૈશ્વિક સ્વીકાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મને એવા ધર્મનો હોવાનો ગર્વ છે જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે."

તેમણે કટ્ટરતા અને ધર્માંધતાની ટીકા કરતા ઉમેર્યું હતું કે, જો આ રાક્ષસો ન હોત તો માનવ સમાજ અત્યારે છે તેના કરતા ઘણો આગળ હોત. આ ભાષણે પશ્ચિમી દેશોને સમજાવ્યું કે ભારત માત્ર સપેરાઓનો દેશ નથી, પણ જ્ઞાનનો ભંડાર છે.

પશ્ચિમમાં યોગ અને વેદ પ્રસાર

સ્વામી વિવેકાનંદે અમેરિકા અને બ્રિટનમાં અનેક વ્યાખ્યાનો આપ્યા. તેઓ પશ્ચિમી વિશ્વમાં 'ભારતીય શાણપણના દૂત' તરીકે ઓળખાયા. તેમણે પશ્ચિમી લોકોને 'યોગ' અને 'વેદાંત' જેવી ગહન ફિલોસોફી સમજાવી.

તેમણે માન્યું કે પશ્ચિમની ભૌતિક પ્રગતિ અને ભારતની આધ્યાત્મિકતાનો સમન્વય થવો જોઈએ. તેમના પુસ્તકો 'રાજ યોગ', 'જ્ઞાન યોગ' અને 'કર્મ યોગ' આજે પણ જગતભરના વાચકો માટે માર્ગદર્શક છે.

રામકૃષ્ણ મિશનની સ્થાપના

1897માં ભારત પરત ફર્યા બાદ, સ્વામી વિવેકાનંદ એ 'રામકૃષ્ણ મિશન'ની સ્થાપના કરી. આ સંસ્થાનો મુખ્ય હેતુ ગરીબો અને વંચિતોની સેવા કરવાનો હતો. 1899માં તેમણે પશ્ચિમ બંગાળના હાવડામાં બેલુર મઠની સ્થાપના કરી, જે તેમનું કાયમી નિવાસસ્થાન બન્યું. તેઓ માનતા હતા કે "જે ગરીબમાં શિવને જુએ છે, તે સાચો ભક્ત છે."

અવિરત પ્રેરણા અને વારસો

1902માં માત્ર 39 વર્ષની વયે તેમનું અવસાન થયું, પરંતુ તે પહેલાં તેમણે એક પશ્ચિમી અનુયાયીને પત્રમાં લખ્યું હતું કે, "હું ભલે આ શરીરનો ત્યાગ કરું, પણ હું કાર્ય કરવાનું છોડીશ નહીં. હું જ્યાં સુધી આખું વિશ્વ ભગવાન સાથે એક ન થઈ જાય ત્યાં સુધી લોકોને પ્રેરણા આપતો રહીશ."

આ પણ જુઓ | સ્વામી વિવેકાનંદના ક્વોટ્સ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત

આજે પણ સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આત્મવિશ્વાસ, ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કરે છે. 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નો તેમનો સંદેશ યુગ-યુગાંતર સુધી સુસંગત રહેશે.

સ્વામી વિવેકાનંદ વિશે જાણવા જેવા FAQs

રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે?

ભારત સરકાર દ્વારા 1984 માં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ, એટલે કે 12 જાન્યુઆરીને 'રાષ્ટ્રીય યુવા દિવસ' (National Youth Day) તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય સ્વામીજીના આદર્શો અને વિચારો દ્વારા ભારતના યુવાનોને પ્રેરણા આપવાનો છે.

સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? 

સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. 1893 માં ખેતડીના મહારાજા અજીત સિંહના આગ્રહથી તેમણે 'વિવેકાનંદ' નામ ધારણ કર્યું હતું.

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ક્યારે ભાષણ આપ્યું હતું? 

સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, 1893 ના રોજ અમેરિકાના શિકાગોમાં આયોજિત 'વિશ્વ ધર્મ પરિષદ' (Parliament of the World’s Religions) માં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું.

રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? 

સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામ પરથી 1 મે, 1897 ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવાના કાર્યો કરે છે.

સ્વામી વિવેકાનંદે કયા મુખ્ય પુસ્તકો લખ્યા છે?

સ્વામી વિવેકાનંદે યોગ અને વેદાંત પર ઊંડાણપૂર્વક લખ્યું છે. તેમના મુખ્ય પુસ્તકોમાં 'રાજ યોગ', 'જ્ઞાન યોગ', 'કર્મ યોગ' અને 'ભક્તિ યોગ' નો સમાવેશ થાય છે.

આજના દિવસનો ઇતિહાસ સ્વામી વિવેકાનંદ