Himani Narwal Murder Case: કોંગ્રેસની મહિલા કાર્યકર્તા હિમાની નરવાલ હત્યાકાંડમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસ કસ્ટડીમાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઈન્ડિયા ટૂડેએ સૂત્રોના હવાલાથી લખ્યું છે કે, આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તેઓ લાંબા સમયથી રિલેશનશીપમાં હતા.
અટકાયત દરમિયાન સચિનની પાસેથી જ હિમાનીનો મોબાઈલ ફોન પણ મળ્યો છે. હરિયાણાના બહાદુરગઢ નિવાસી સચિને પોલીસને જણાવ્યું કે, હિમાનીએ તેની પાસેથી લાખો રૂપિયા લીધા છે અને તે વધુ પૈસાની માંગણી કરી રહી હતી. તેણે હિમાની પર બ્લેકમેલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
સૂટકેસમાં મળ્યો મૃતદેહ
તમને જણાવી દઈએ કે, સચિનની સોમવારે દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા એટલે કે શનિવારે હિમાનીની લાશ રોહતકમાં બસ સ્ટેશન પાસે એક સૂટકેસમાંથી મળી આવી હતી.
ઈન્ડિયા ટૂડેની રિપોર્ટ અનુસાર, સચિને કબૂલ કર્યું કે સતત પૈસાની માંગણીથી તે ચિંતામાં આવી ગયો અને તેણે રોહતક સ્થિત પોતાના ઘર પર હિમાનીની હત્યા કરી દીધી. રોહતકના વિજયનગરમાં પોતાના પૈતૃક ઘરમાં રહેતી હિમાની તે સમયે ચર્ચામાં આવી હતી જયારે તે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન તેમની સાથે ચાલતી તેની તસવીરો વાયરલ થઈ હતી.
આ પણ વાંચો: ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા અને ક્યા સમયે જવું છે બેસ્ટ, કયાં રોકાવું, જાણો તમામ વિગત
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જે સૂટકેસમાં હિમાનીની લાશ મળી, તે તેની જ હતી. સચિને પોલીસને જણાવ્યું કે તેણે હિમાનીની હત્યા કરીને તેની લાશ સૂટકેસમાં ભરીને બસ સ્ટેન્ડ પર છોડી દીધી હતી. હિમાનીના પરિવારે હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાથી ઈન્કાર કરી દીધો હતો. સંદિગ્ધની ધરપકડ બાદ હિમાનીના પરિવારે મોતની સજાની માંગ કરી છે.
હિમાનીના ભાઈ જતિને ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું,”એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આજે અમે તેનો (હિમાની નરવાલ) અંતિમ સંસ્કાર કરીશું. મીડિયામાં ઘણી બધી અફવાહો ફેલાવવામાં આવી રહી છે… અમને ન્યાય મળશે… અમે આરોપી માટે મોતની સજાની માંગ કરીએ છીએ.”
હિમાનીની માતા સવિતાએ પત્રકારોને કહ્યું કે, હત્યાની કારણ કોઈ ષડયંત્ર હોઈ શકે છે, કારણ કે કોંગ્રેસના કેટલાક નેતા પાર્ટીમાં તેની ઓછા સમયમાં ઝડપથી વધતી લોકપ્રિયતાથી બળતા હતા. સવિતાએ કહ્યું,”તે પાર્ટીમાં કોઈ પણ નેતા હોય શકે છે જે તેની લોકપ્રિયતાથી બળતા હોય, અથવા કોઈ અન્ય પણ હોઈ શકે છે.”





