/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/MEAIndia-Spokesperson-Randhir-Jaiswal.jpg)
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ (તસવીર - સોશિયલ મીડિયા)
Shaksgam Valley : ભારતે મંગળવારે શક્સગામ ઘાટી પર ચીનના નવા દાવાઓને ફગાવી દીધા હતા. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963 ના સીમા કરારને ગેરકાયદેસર ગણાવ્યો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે નવી દિલ્હી આ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિને માન્યતા આપતી નથી. જનરલ દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે ભારત 1963ના કરારને અમાન્ય માને છે. આ અંતર્ગત પાકિસ્તાને શક્સગામ ઘાટીનો થોડો વિસ્તાર ચીનને આપ્યો હતો.
બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શકસગામ ખીણ ભારતનો વિસ્તાર છે. 1963માં ચીન-પાકિસ્તાન સરહદ કરાર પર હસ્તાક્ષર કરાયેલા તથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ કરારને અમે ક્યારેય માન્યતા આપી નથી. અમે સતત જાળવી રાખ્યું છે કે આ કરાર ગેરકાયદેસર અને અમાન્ય છે.
રણધીર જયસ્વાલે કહ્યું કે અમે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી)ને પણ માન્યતા આપતા નથી કારણ કે તે ભારતીય ક્ષેત્રમાંથી પસાર થાય છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર અને બળજબરીથી કબજો કર્યો છે. જયસ્વાલે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. પાકિસ્તાન અને ચીની અધિકારીઓને આ વાત ઘણી વખત સ્પષ્ટ કરવામાં આવી છે.
લદ્દાખના રાજ્યપાલે કહ્યું - આખું કાશ્મીર અમારું છે
શકસગામ ખીણ પર ચીનના દાવા પર લદ્દાખના રાજ્યપાલ કવિંદર ગુપ્તાએ કહ્યું કે આખું કાશ્મીર અમારું છે. વિદેશ મંત્રાલયે આ દાવાની નોંધ લીધી છે. આવા કોઈ પણ કૃત્યને સહન કરવામાં આવશે નહીં. ચીન પહેલાથી જ અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગો પર દાવો કરી ચૂક્યું છે. તેણે સમજવું પડશે કે આ 1962નું ભારત નથી.
ગયા શુક્રવારે ભારતે શક્સગામ ખીણમાં ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે ભારતીય ક્ષેત્ર છે. નવી દિલ્હીએ કહ્યું હતું કે ભારતને તેના હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેવાનો અધિકાર છે. આ દરમિયાન સેના પ્રમુખે મંગળવારે કહ્યું હતું કે અમે ત્યાં કોઈ પણ ગતિવિધિને સ્વીકારતા નથી. જ્યાં સુધી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો સવાલ છે. અમે તેને સ્વીકારતા નથી. આ બંને દેશો દ્વારા કરવામાં આવતું ગેરકાયદેસર કૃત્ય માનવામાં આવે છે.
ચીને શક્સગામ ખીણને પોતાનો ભાગ ગણાવ્યો હતો
ચીને સોમવારે જમ્મુ-કાશ્મીરની શકસગામ ખીણ પર પોતાના પ્રાદેશિક દાવાઓની પુષ્ટિ કરી હતી અને આ ક્ષેત્રમાં તેના માળખાકીય પ્રોજેક્ટ્સનો બચાવ કર્યો હતો. ભારતના વાંધા પર જવાબ આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે સૌથી પહેલા તમે જે વિસ્તારની વાત કરી રહ્યા છો તે ચીનનો ભાગ છે.
આ પણ વાંચો - ‘ભારત-જર્મની સાથે આવવાથી રશિયા પર નિર્ભરતા ઘટશે?’ જર્મન ચાન્સેલરના નિવેદન પર ભારતે આપ્યો જવાબ
તેમણે કહ્યું કે ચીનની પોતાના ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે વાજબી છે. માઓએ કહ્યું કે ચીન અને પાકિસ્તાને 1960 ના દાયકામાં સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સાર્વભૌમ દેશો તરીકે ચીન અને પાકિસ્તાનનો અધિકાર છે.
ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)ની ભારતની ટીકા પર પ્રતિક્રિયા આપતા માઓએ બેઇજિંગના લાંબા સમયથી ચાલતા વલણને પુનરાવર્તિત કર્યું હતું કે તે એક આર્થિક પહેલ છે. તેનો ઉદ્દેશ સ્થાનિક આર્થિક અને સામાજિક વિકાસ લાવવાનો અને લોકોના જીવનને સુધારવાનો છે.
શક્સગામ ખીણ પર ભારત-ચીન વિવાદ
1963માં પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલા ભારતીય વિસ્તારમાંથી શકસગામ ખીણનો 5150 વર્ગ કિલોમીટર વિસ્તારને ચીનને સોંપી દીધો હતો. શક્સગામ ખીણ એક સંવેદનશીલ વિસ્તાર છે તેમજ ખૂબ જ વિવાદાસ્પદ વિસ્તારમાં સ્થિત છે. તેની ઉત્તરમાં ચીનનો શિનજિયાંગ પ્રાંત, દક્ષિણ અને પશ્ચિમમાં પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર અને પૂર્વમાં સિયાચીન ગ્લેશિયર પ્રદેશ છે.
તેની ભૌગોલિક સ્થિતિને કારણે આ ખીણ લાંબા સમયથી ભારત, ચીન અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કેન્દ્ર રહ્યું છે. ભારતે અગાઉ શક્સગામ ખીણમાં ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને નકારી કાઢ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us