/indian-express-gujarati/media/media_files/2026/01/23/pm-narendra-modi-with-us-president-donald-trump-2026-01-23-14-45-33.jpg)
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરુ કરાયેલ Board of Peace મામલે ભારત દ્વિધામાં Photograph: (Express Photo)
Donald Trump Board of Peace India News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પોતાના મહત્વકાંક્ષી 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace) શરુ કર્યું અને તેમના જમાઈ જેરેડ કુશ્નરે ઇઝરાયેલ હમાસ યુદ્ધના ખંડેરો પર 'નવા ગાઝા'ના નિર્માણની યોજના જાહેર કરી, ત્યારે ભારતે આ સમારોહથી દૂર રહેવાનું પસંદ કર્યું. ગુરુવારે ડેવોસમાં આયોજિત આ કાર્યક્રમમાં ભારત સામેલ ન થયું, જે દર્શાવે છે કે નવી દિલ્હી અત્યારે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યું છે.
પીએમ મોદીને આ બોર્ડમાં જોડાવા માટે ટ્રમ્પનું આમંત્રણ મળ્યું છે, પરંતુ ભારતે હજુ સુધી ના પણ નથી પાડી કે હા પણ કહી નથી. ભારત આ 'ડિપ્લોમેટિક ટાઇટરોપ' પર કેમ ચાલી રહ્યું છે? તેના મુખ્ય પાંચ કારણો જાણીએ.
સભ્ય દેશોનું ગઠબંધન અને કાયદેસરતા
ભારત પહેલા એ જોવા માંગે છે કે ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરુ કરાયેલ બોર્ડ ઓફ પીસ અભિયાનમાં કયા દેશો જોડાય છે. બોર્ડ ઓફ પીસમાં અત્યાર સુધી પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી અને ઇઝરાયેલ જેવા દેશોએ હા પાડી છે. પરંતુ ફ્રાન્સ, જર્મની, યુકે અને ઈટાલી જેવા મોટા યુરોપીય દેશો તેનાથી દૂર છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો રશિયા, ચીન, યુકે અને ફ્રાન્સ પણ જોડાયા નથી. જેને પગલે એવું લાગે છે કે, આ બોર્ડમાં હજુ 'વજન' અને 'કાયદેસરતા'નો અભાવ છે.
Board of Peace અને Donald Trump
આ બોર્ડ ટ્રમ્પનો 'પેશન પ્રોજેક્ટ' લાગી રહ્યો છે. ટ્રમ્પનો કાર્યકાળ હવે માત્ર ત્રણ વર્ષનો બાકી છે. ભારતને ડર છે કે જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડશે, તે દિવસે આ બોર્ડ બિનઅસરકારક બની જશે. શું ભારત તેની ઉર્જા અને સમય એવા પ્રોજેક્ટમાં ખર્ચવા માંગે છે જે લાંબુ ટકવાની ખાતરી આપતું નથી?
સંયુક્ત રાષ્ટ્ર (UN) અને બહુપક્ષીયવાદ
ભારત હંમેશા યુએન (UN) ના માળખા અને બહુપક્ષીયવાદ (Multilateralism) માં વિશ્વાસ ધરાવે છે. જો ટ્રમ્પનું આ બોર્ડ યુએનની સમાંતર સંસ્થા તરીકે ઉભરી આવે, તો તે વિશ્વ માટે મુશ્કેલ બની શકે છે, વૈશ્વિક વ્યવસ્થાને નબળી પાડી શકે છે. ટ્રમ્પે ભલે કહ્યું હોય કે તેઓ યુએન સાથે મળીને કામ કરશે, પણ અંતિમ નિર્ણય કોણ લેશે? ટ્રમ્પ પોતે કે સર્વસંમતિ? તે હજુ અસ્પષ્ટ છે.
ગાઝાથી આગળ વધવાનો ખતરો
ભારત ઈચ્છે છે કે આ બોર્ડની ભૂમિકા માત્ર ને માત્ર ગાઝાના પુનઃનિર્માણ સુધી જ મર્યાદિત રહે. પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે આ આખા વિશ્વ માટે છે. જે ભારતને ચિંતા ઉપજાવે છે. ભારતને ચિંતા છે કે ટ્રમ્પ ભારત-પાકિસ્તાન જેવા અન્ય પ્રાદેશિક વિવાદોમાં પણ આ બોર્ડ દ્વારા હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી શકે છે, જે ભારત ક્યારેય સ્વીકારશે નહીં.
પાકિસ્તાન ફેક્ટર
ટ્રમ્પના શાંતિ બોર્ડમાં જોડાતાં પહેલા ભારત માટે પાકિસ્તાન ફેક્ટર વિચારવા જેવું છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ કાર્યક્રમમાં હાજરી આપી છે. દિલ્હીના રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા છે કે જો ભારત આ બોર્ડથી દૂર રહે અને ભવિષ્યમાં પાકિસ્તાન સાથે કોઈ વિવાદ થાય તો શું? આ સ્થિતિ વિચાર માંગી લેનારી છે.
આ પણ વાંચો | અમેરિકાએ WHOથી બનાવી લીધી દૂરી, ટ્રમ્પ સરકાર નહીં આપે 260 મિલિયન ડોલર બાકી રકમ
ભારત માટે આ રસ્તો કાંટાળો છે. જો તે જોડાશે નહીં, તો ટ્રમ્પની નારાજગી વહોરવી પડશે અને જો જોડાશે, તો યુએન અને રશિયા-ચીન જેવા દેશો સાથેના સંબંધો પર અસર પડી શકે છે. ભારત અત્યારે રણનીતિક સ્વાયત્તતા જાળવીને આગળ વધી રહ્યું છે અને એજ કારણ હોઇ શકે છે કે, PM Narendra Modi ટ્રમ્પના બોર્ડ ઓફ પીસના લોન્ચ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us