International Yoga Day 2025 : 21 જૂને આખી દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મનાવવા માટે તૈયાર છે. ભારતમાં મોટા પ્રમાણમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે દેશભરના 100 ઐતિહાસિક સ્થળો અને 50 સાંસ્કૃતિક સ્થળો પર યોગ સત્રો યોજાશે. આ સત્રનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. જેમાં યુનેસ્કોની હેરિટેજ સાઇટ્સ પણ સામેલ છે.
આ વર્ષની થીમ “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” છે. આ થીમ એક પૃથ્વી એક સ્વાસ્થયના વિચારને પ્રોત્સાહન આપે છે. આનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય અને ટકાઉ ભવિષ્ય માટે આપણા ગ્રહ અને આપણા બધાનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે.
પીએમ મોદી ક્યાં કરશે યોગ?
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોગ દિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ અહીં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.
આ સ્થળો ઉપર પણ કાર્યક્રમો યોજાશે
આ સિવાય આસામના ચરાઇદેવ મોઈમમ, ગુજરાતની રાણી કી વાવ અને ધોળાવીરા, કર્ણાટકમાં પટ્ટાડકલ અને ખજુરાહો સ્મારક સ્પૂત, મધ્ય પ્રદેશના સાંચી સ્તૂપ, ઓડિશાના કોણાર્ક સ્થિત સૂર્ય મંદિર, મહારાષ્ટ્રમાં એલિફન્ટાની ગુફાઓ અને તામિલનાડુના તંજાવુરમાં બૃહદેશ્વર મંદિરમાં પણ યોગ દિવસ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 100 પ્રવાસન આધારિત પ્રસિદ્ધ સ્થળો પર યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનના જોધપુરમાં ઐતિહાસિક મેહરાનગઢ કિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ છતા અમેરિકા કેમ ના ગયા પીએમ મોદી? હવે કર્યો ખુલાસો
હૈદરાબાદમાં સલાર જંગ મ્યુઝિયમ, હુમાયુનો મકબરો, દિલ્હીનો જૂનો કિલ્લો અને સફદરજંગ મકબરો, પંજાબમાં જલિયાંવાલા બાગ, રાજસ્થાનમાં ચિત્તોડગઢ અને કુંભલગઢ કિલ્લા, લદ્દાખમાં લેહ પેલેસ, જમ્મુ-કાશ્મીરના પરી મહેલ, કેરળના બેકલ કિલ્લો, પશ્ચિમ બંગાળમાં કૂચ બિહાર પેલેસ જેવા સ્થળોએ પણ યોગ સત્ર યોજાશે.
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે?
લોકો એ પણ જાણવા માંગે છે કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે? 21 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં યોગ દિવસ પર આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ યુએનમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરવામાં આવી ત્યારે ભારતને તારીખ રાખવાની જવાબદારી મળી હતી. 21 જૂન એ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્યનાં કિરણો સૌથી વધારે સમય સુધી પૃથ્વી પર પડે છે. જ્યોતિષ અને અધ્યાત્મની દ્રષ્ટિએ પણ આ દિવસનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે ભગવાન શિવે આ દિવસે પોતાના શિષ્યોને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. એટલા માટે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.





