/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Danish-Kaneria.jpg)
દાનિશ કનેરિયા (File)
INDIA vs PAKISTAN : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાની હાલમાં જ એશિયા કપ 2023માં બીસીસીઆઇના વલણ અને આગામી વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપના બહિષ્કાર કરવાની ટિપ્પણીએ વિશ્વ ક્રિકેટમાં ઘણી હલચલ મચાવી દીધી છે. જોકે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાને લાગે છે કે પીસીબી પાસે આવું કરવાની હિંમત નથી. દાનિશ કનેરિયાએ રમીઝ રાજાને સખત ચેતાવણી પણ આપી છે.
દાનિશ કનેરિયાએ પોતાની યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે પીસીબી પાસે એટલી હિંમત નથી કે તે આઈસીસીના કોઇ આયોજનનો બહિષ્કાર કરી દે. બીજી તરફ જો પાકિસ્તાન ભારતમાં રમવા નહીં જાય તો બીસીસીઆઈને સહેજ પણ ફરક પડશે નહીં. બીસીસીઆઈ પાસે મોટું બજાર છે જેનાથી ઘણી મોટી કમાણી થાય છે.
દાનિશ કનેરિયાએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ભારત નહીં જવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ઘણી અસર પડશે. પાકિસ્તાનની ટીમ નિશ્ચિત રીતે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે. ત્યારે પીસીબીના પદાધિકારીઓ એ જ કહેશે કે આઈસીસી તરફથી દબાણ હતું, આ કારણે તેમની પાસે કોઇ વિકલ્પ ન હતો.
આ પણ વાંચો - ફિફા વર્લ્ડ કપ 2022: ખેલાડીઓ જે બોલને લાત મારી રહ્યા છે તેની કિંમત છે લગભગ 14,000 રૂપિયા
પીસીબીના ચેરમેન રમીઝ રાજાએ પાકિસ્તાની ચેનલ ઉર્દૂ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો ભારતીય ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે નહીં આવે તો અમે પણ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે જઇશું નહીં. જો પાકિસ્તાન ભારતમાં નહીં રમે તો વર્લ્ડ કપ કોણ જોશે?
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈના સચિવ જય શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા (Indian Cricket Team)2023માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. બીસીસીઆઈ ઇચ્છશે કે એશિયા કપ 2023 સંયુક્ત અરબ અમિરાતમાં આયોજીત થાય. જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us