આઈપીએલની ગત સિઝન ચેન્નઇ સુપરકિંગ્સ માટે સારી રહી ન હતી. 4 વખતની ચેમ્પિયન ફ્રેન્ચાઇઝીનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું અને તે નવમાં નંબરે રહી હતી. આ સિવાય તે વિવાદોમાં પણ રહી હતી. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવા અને વચ્ચેથી તેની પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવા અને પછી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જવાને લઇને વિવાદ થયો હતો. આખી સિઝન દરમિયાન સીએસકે અને જાડેજા વચ્ચે મતભેદના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. એવા પણ રિપોર્ટ હતા કે જાડેજા સીએસકેથી અલગ થઇ જવાનો છે. જોકે આવું બન્યું નથી. જાડેજા સીએસકે સાથે યથાવત્ છે. આઈપીએલ-2023 પહેલા ટીમ સાથે ટ્રેનિંગના તેના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.
હવે સવાલ એ થાય કે રવિન્દ્ર જાડેજા અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે મતભેદ કેમ થયો? આ મતભેદ દૂર કેમ થયા? જાડેજાને ગત સિઝન શરૂ થયા પહેલા ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે તેની કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી અને મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેપ્ટનશિપ છીનવી લેવાથી જાડેજાની નારાજ થવાનું એક કારણ હતું. બીજુ કારણ તેનું પ્રદર્શન હતું. આ સિવાય મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશિપથી હટાવી દેવાથી પણ નારાજ હતો. વાત એટલી વણસી ગઇ હતી કે તે ટીમ હોટલ છોડીને ચાલ્યો ગયો હતો.
કેવી રીતે દૂર થયા મતભેદો
ચેન્નઇ સુપરકિંગ્સના કેમ્પમાં ઘટનાક્રમથી પરિચિત લોકોએ ક્રિકબઝને જણાવ્યું કે જાડેજાએ ફ્રેન્ચાઇઝીના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ કેપ્ટન ધોની સાથે ખુલીને લાંબી વાતચીત કરી હતી. આ પછી તેણે ફ્રેન્ચાઇઝીના સીઇઓ કાશી વિશ્વનાથન સાથે સામે બેસીને પણ વાતચીત કરી હતી અને બધુ ઠીક થઇ ગયું હતું. વિશ્વનાથને પોતાની વચ્ચે થયેલી વાતચીતની જાણકારી આપવાનો ઇન્કાર કર્યો હતો. જોકે તેમણે પૃષ્ટી કરી કે બધા પક્ષો વચ્ચે સ્વતંત્ર, સ્પષ્ટ અને લાંબી વાતચીત થઇ હતી.
આ પણ વાંચો – આઈપીએલના નવા નિયમો : ટોસ પછી પ્લેઇંગ ઇલેવન પસંદ કરી શકશે કેપ્ટન, ક્યારે મળશે પાંચ રનની પેનલ્ટી
ખુલીને થઇ ચર્ચા
રવિન્દ્ર જાડેજા સાથે વાતચીત તેના ટીમ સાથે જોડાવવાના ઘણા સમય પહેલા થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે જાડેજાએ પોતાની નારાજગીનું કારણ અને આગળ તે શું ઇચ્છે છે તેને લઇને ખુલીને વાતચીત કરી હતી. તે ધોની અને વિશ્વનાથને પોતાની તરફથી ગત સિઝનમાં જે કશું પણ બન્યું તેને લઇને બધુ સ્પષ્ટ કરી દીધું. ચેન્નઇ સુપરકિંગ્સના કેમ્પ સાથે જોડાયેલા લોકો એ ખુલાસો કરી રહ્યા નથી કે જાડેજા કેમ નારાજ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે કેપ્ટનશિપ તેમના પર ભાર બની રહી છે અને તેના કારણે તેના પ્રદર્શન પર અસર પડી રહી છે. જાડેજાને આ વાત સમજમાં આવી ગઇ હતી.
ધોનીનું નિવેદન પણ નારાજગીનું કારણ હતું
માનવામાં આવી રહ્યું છે કે જાડેજા કેપ્ટનશિપ પાછી લઇ લેવા અને સારું પ્રદર્શન ન કરી શકતા નારાજ હતો. તે સમયે છેલ્લી 10 મેચમાં 19ની એવરેજથી 116 રન બનાવ્યા હતા અને 5 વિકેટ ઝડપી હતી. જે તેના જેવા ઓલરાઉન્ડર માટે ઘણું ખરાબ પ્રદર્શન હતું. ધોનીએ જાડેજાની કેપ્ટનશિપ પર કહ્યું હતું કે મને લાગે છે કે જાડેજાને ખબર હતી કે ગત સિઝનમાં તે કેપ્ટનશિપ કરશે. પ્રથમ બે મેચમાં તેની મદદ કરી હતી અને પછી બધું તેના પર છોડી દીધું. મેં તેને કહ્યું હતું કે તે પોતે જ નિર્ણય કરશે અને જવાબદારી સંભાળશે. એક વખત જ્યારે તમે કેપ્ટન બની જાવ તો તમારા પર ઘણી જવાબદારી આવે છે. મને લાગે છે કે કેપ્ટનશિપને લઇને તેની તૈયારીએ પ્રદર્શન પર અસર પાડી હતી. આ નિવેદન પણ તેની નારાજગીનું કારણ હતું.