ટીમ ઇન્ડિયા અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી આઈપીએલ સિઝન અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (જો ભારત ક્વોલિફાય કરે તો)માંથી બહાર થઇ ગયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી ઇંગ્લેન્ડના ઓવલમાં રમાવાની છે. ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે આ ફાસ્ટ બોલર આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં વાપસી કરશે.
એ સ્પષ્ટ નથી કે મુંબઈ ઇન્ડિયન્સ આગામી સિઝનમાં બુમરાહના સ્થાને કોઇ પ્લેયરને લેવાની માંગણી કરશે કે નહીં. સમજવામાં આવે છે કે આ ફાસ્ટ બોલરની સર્જરી થઇ શકે છે. તેના કારણે તે ઓછામાં ઓછા પાંચ મહિના માટે ક્રિકેટથી દૂર થઇ શકે છે. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી આ મામલે બીજી વખત સલાહ લેશે.
જસપ્રીત બુમરાહ છેલ્લે સપ્ટેમ્બર 2022માં રમ્યો હતો
બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટથી દૂર છે. છેલ્લી ઓસ્ટ્રેલિયા સામે સપ્ટેમ્બરમાં ટી-20 મેચ રમ્યો હતો. બુમરાહ પીઠની ઇજાના કારણે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઇ ગયો હતો. આ સિવાય એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો. હવે તે આઈપીએલમાંથી પણ બહાર થઇ ગયો છે.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે ટેસ્ટ અને લિમિટેડ ઓવર્સમાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે– ઓસ્ટ્રેલિયાના બોલરની ચેતવણી
બીસીસીઆઇએ જાન્યુઆરીમાં શ્રીલંકા સામે શ્રેણી માટે બુમરાહનો ટીમમાં સમાવેશ કર્યો હતો. જોકે જલ્દી ટીમમાંથી નામ પાછું લઇ લીધું હતું અને બીસીસીઆઈએ કહ્યું હતું કે બુમરાહને બોલિંગમાં પરત ફરવા માટે વધારે સમય જોઇશે.
થોડાક કલાક બોલિંગ કર્યા પછી બુમરાહને દર્દ થયું હતું અને તેને ફરીથી એનસીએ મોકલી દેવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ આશા રાખી રહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ બે ટેસ્ટ મેચમાં ફિટ થઇ જશે પણ બુમરાહની પીઠ દર્દની મુશ્કેલ યથાવત્ રહી હતી. ભારતના અગ્રણી ફાસ્ટ બોલર માટે પીઠની સમસ્યા કોઇ નવી વાત નથી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે હાલમાં જ વાતચીત દરમિયાન હરભજન સિંહે સલાહ આપી હતી કે ભારતીય ક્રિકેટર્સને આરામની આવશ્યકતા છે. ખાસ કરીને જ્યારેથી છેલ્લા કેટલાક વર્ષોમાં તે નોન સ્ટોપ રમી રહ્યા છે.