IPL 2023 : સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) માં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 12 રને હરાવીને સિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી. જો કે આ જીત બાદ પણ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના બોલરોથી નારાજ છે અને તેણે કેપ્ટનશીપ છોડવાની ધમકી પણ આપી દીધી છે. ચેપોકમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. મેચ પછી પ્રેજન્ટેશનમાં ધોની બોલરો દ્વારા વધારાના રન આપવાથી નાખુશ હતો અને તેણે સુકાની પદ છોડવાની ધમકી પણ આપી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીએ લખનૌ સુપરજાયન્ટ્સ સામેની જીત બાદ કહ્યું, “તે એક શાનદાર હાઈ સ્કોરિંગ મેચ હતી. અમે બધા વિચારતા હતા કે વિકેટ કેવી હશે. આનાથી સારી પ્રથમ મેચ ન મળી શકે. મને લાગ્યું કે, તે ખૂબ જ ધીમી હશે, પરંતુ તે એવી વિકેટ હતી જ્યાં તમે રન બનાવી શકો. મને વિકેટથી ખૂબ જ આશ્ચર્ય થયું હતું, પરંતુ અમારે જોવું પડશે કે શું અમે તેને મેચ બાય મેચ બનાવી શકીએ છીએ.
ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો વિશે શું કહ્યું?
મહેન્દ્ર સિંહ ધોનીએ વધુમાં કહ્યું, “અમારે ફાસ્ટ બોલિંગમાં થોડો સુધારો કરવાની જરૂર છે. પરિસ્થિતિ અનુસાર બોલિંગ કરવાની જરૂર છે. મહત્વની વાત એ છે કે, વિરોધી બોલરો શું કરી રહ્યા છે તેના પર નજર રાખવી. બીજી બાબત એ છે કે, તેમણે નો-બોલ કે વધારાની વાઈડ બોલિંગ કરવાની જરૂર નથી. અથવા તેમને નવા કેપ્ટન હેઠળ રમવું પડશે. આ મારી બીજી ચેતવણી હશે અને પછી હું નીકળી જઈશ. અમે રન બનાવ્યા તેનું એકમાત્ર કારણ એ છે કે પિચ સારી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2023 : ચેન્નઇ સુપર કિંગ્સે પ્રથમ જીત મેળવી, લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ચેન્નાઈના બોલરોએ 18 વધારાના રન આપ્યા હતા. જેમાં 2 લેગ બાય, 13 વાઈડ અને 3 નો બોલનો સમાવેશ થાય છે. અગાઉ, તેમણે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં 12 વધારાના રન આપ્યા હતા. જેમાં 6 લેગ બાય, 4 વાઈડ અને 2 નો બોલનો સમાવેશ થાય છે. એટલે કે આ બે મેચમાં ચેન્નાઈના બોલરોએ 30 ફ્રી રન આપ્યા છે. તેમણે 22 વધારાના બોલ ફેંક્યા છે, એટલે કે લગભગ 4 ઓવર વધુ.