Ravi Shastri on MS Dhoni slow batting: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે (R Sridhar) પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે રવિ શાસ્ત્રી 2018માં ઇંગ્લેન્ડ સામે વન-ડેમાં મહેન્દ્રસિંહ ધોનીની ધીમી બેટિંગ પર ગુસ્સે થયા હતા. આ ઘટના લોર્ડ્સમાં રમાયેલી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ત્રણ વન-ડેની શ્રેણી દરમિયાન બીજી મેચમાં બની હતી. જો રુટની સદીની મદદથી ઇંગ્લેન્ડે 7 વિકેટે 322 રન બનાવ્યા હતા.
323 રનના પડકારનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. જોકે પાવરપ્લે પછી ટીમ ઇન્ડિયાનો ધબડકો થયો હતો. એકસમયે ટીમનો સ્કોર 3 વિકેટે 140 રન હતો. 10 ઓવર બાકી હતી અને ટીમને 13 રન પ્રતિ ઓવરના હિસાબથી રન બનાવવાના હતા. જોકે ધોનીએ રન ચેઝ કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. આગામી 5-6 ઓવરમાં ફક્ત 20 રન બન્યા હતા. ધોની 59 બોલમાં 37 રન બનાવી આઉટ થયો હતો. ધોનીની આ ઇનિંગ્સથી કોચ રવિ શાસ્ત્રી ગુસ્સે થયા હતા. જેનો ખુલાસો આર શ્રીધરે પોતાના પુસ્તક કોચિંગ બેયાંડ : માય ડેજ વિદ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં કર્યો છે.
આ પણ વાંચો – 4 થી 26 માર્ચ દરમિયાન રમાશે મહિલા આઈપીએલ? ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ, પ્લેઇંગ ઇલેવનમાં રાખી શકાશે 5 વિદેશી
આ કારણે રવિ શાસ્ત્રી થયા હતા ગુસ્સે
આર શ્રીધરે કહ્યું કે જ્યારે વિરાટ કોહલી અને સુરેશ રૈના બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ટીમ મુકાબલામાં બનેલી હતી. જોકે જેવી અમે વિકેટ ગુમાવી, અંતિમ 10 ઓવરોમાં ધોની સાથે બેટિંગ કરવા માટે બોલર જ બચ્યા હતા. ધોનીએ શોટ રમવાના બંધ કરી દીધા હતા. અંતિમ 10 ઓવરમાં 13 રન પ્રતિ ઓવરથી રન બનાવવાના હતા પણ ટીમે આગામી 6 ઓવરમાં 20 રન જ બનાવ્યા હતા. રવિ શાસ્ત્રી ક્રોધિત હતા. તે એ વાતથી નારાજ હતા કે આપણે 86 રનથી હારી ગયા. આપણે લડ્યા વગર હારી ગયા તેથી તે ગુસ્સે થયા હતા. આપણે લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો ન હતો. આસાનીથી હાર માની લીધી હતી. હેડ કોચ તેને આવી રીતે જવા દેવા માંગતા ન હતા.
ટીમ મીટિંગમાં આપ્યો સખત સંદેશ
શ્રીધરે જણાવ્યું કે નિર્ણાયક મેચ હેડિંગ્લેમાં રમાવાની હતી અને અમે પછીના દિવસે ટીમ મીટિંગ કરી હતી. સહયોગી સ્ટાફના બધા સદસ્યો સહિત આખી ટીમ ઉપસ્થિત હતી અને મને ખબર હતી કે રવિ સખત સંદેશો આપવાના છે. તેમણે કહ્યું કે તમે કોઇપણ હોય, આવું ફરી ના થવું જોઈએ જ્યારે આપણે મેચ જીતવાનો પ્રયત્ન કર્યા વગર હારી જઇએ. આ મારા રહેતા થશે નહીં. જો કોઇ આવું કરશે તો તે મારા રહેતા પોતાની અંતિમ ક્રિકેટ મેચ રમશે. તમે મેચ હારી શકો છો તેમાં કોઇ શરમની વાત નથી પણ તમે આવી રીતે હારશો નહીં.