Ravindra Jadeja and Rishabh Pant News: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાની પણ પસંદગી થઇ છે. જોકે બીસીસીઆઈએ જાણકારી આપી છે કે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી જ તે ટીમ સાથે જોડાશે. હવે સમાચાર છે કે તે રણજી ટ્રોફીમાં રમશે. બીજી તરફ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વિકેટકીપર ઋષભ પંતને લઇને સમાચાર છે કે તેના ઘૂંટણમાં 3 લિંગામેન્ટ ટિયર થયા છે. જેમાં બેની સર્જરી થઇ ગઇ છે. એકની સર્જરી 6 સપ્તાહ પછી થશે.
ટીમમાં પરત ફરવા માટે જાડેજાએ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે
ઇએસપીએન ક્રિકઇન્ફોએ જાણકારી આપી છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 24 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીના ફાઇનલ રાઉન્ડમાં રમશે. આ મેચ ચેન્નઇમાં તમિલનાડુ સામે રમાશે. જાડેજાએ પોતાના ઘૂંટણની સર્જરી માટે ગત સપ્ટેમ્બરમાં એશિયા કપ અધવચ્ચેથી છોડવો પડ્યો હતો. હાલ બેંગલોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જાડેજા રિહૈબ કરી રહ્યો છે. જાડેજાએ આ સપ્તાહની શરૂઆતમાં બોલિંગ અને બેટિંગ શરૂ કરી હતી. જોકે ટીમમાં પરત ફરવા માટે તેણે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
આ પણ વાંચો – વિરાટ કોહલી વન ડે ક્રિકેટનો કિંગ, પરંતુ વર્ષ 2021 વિરાટ માટે વામન, આખા વરસમાં માત્ર 129 રન
સપ્ટેમ્બર 2022થી મેદાનથી દૂર છે રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા સપ્ટેમ્બર 2022 પછી કોઇ ક્રિકેટ મેચ રમ્યો નથી. આવામાં એનસીએ અને ભારતીય ટીમ મેનજમેન્ટ સાથે પસંદગીકારોએ જાડેજાને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રણજી મેચમાં રમવાનો નિર્ણય કર્યો છે.
ઋષભ પંતને લઇને આવી અપડેટ
ઇએસપીએન ક્રિકઇન્ફોના મતે કાર અકસ્માતનો શિકાર બનેલા ઋષભ પંતના ઘૂંટણમાં ત્રણ લિંગામેન્ટ ટિયર થયા છે. ત્રણેય ચાલવા-ફરવા માટે આવશ્યક છે. જેમાંથી બેની સર્જરી થઇ છે અને ત્રીજાની સર્જરી માટે ડોક્ટર છ સપ્તાહની રાહ જોશે. ડોક્ટર્સે હજુ સુધી તેને લઇને કોઇ જાણકારી આપી નથી કે પંત ટ્રેનિંગ ક્યાં સુધી શરુ કરી શકશે. બીસીસીઆઈ અને પસંદગીકારોનું માનવું છે કે પંત ઓછામાં ઓછો 6 મહિના મેદાનથી બહાર રહેશે.