Rishabh Pant Replacement in Test : સ્ટાર વિકેટકિપર ખેલાડી ઋષભ પંતના અકસ્માતે ટીમ ઇન્ડિયાની પરેશાની વધારી દીધી છે. તેનું ફેબ્રુઆરી-માર્ચમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં (Border Gavaskar Trophy)રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઇનલ (WTC Final) માટે મહત્વપૂર્ણ શ્રેણી છે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 25 વર્ષના આ વિકેટકીપરનું સ્થાન ભરવું આસાન નથી.
ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ઋષભ પંત ફક્ત વિકેટકીપર તરીકે જ નહીં પણ બેટિંગમાં પણ મહત્વનું યોગદાન આપે છે. તે 2022માં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો છે. આવામાં તેનો વિકલ્પ શોધવો આસાન રહેશે નહીં. ટીમ પાસે બેકઅપ વિકેટકીપર કેએસ ભરત છે પણ તેણે હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી.
શું યૂ ટર્ન લેશે ટીમ ઇન્ડિયા
ઋષભ પંતની ગેરહાજરીમાં અનુભવી વિકેટકિપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાની વાપસીનો દરવાજો ખોલી શકે છે. તે લગભગ એક વર્ષથી ટીમની બહાર છે. રણજી ટ્રોફીની આ સિઝનમાં તે એક સદી ફટકારી ચૂક્યો છે. સાહાને જ્યારે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો તો મેનજમેન્ટે કહ્યું હતું કે આગળ પસંદગી માટે તેના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. કોચ રાહુલ દ્રવિડે તેને નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી. આવામાં શું ટીમ ઇન્ડિયા યૂ ટર્ન લેશે?
આ પણ વાંચો – ઋષભ પંત માટે દેવદૂત બન્યો બસનો ડ્રાઇવર, તેણે જણાવી આખી ઘટના
કેએસ ભરત રેસમાં સૌથી આગળ
છેલ્લા એક વર્ષમાં કેએસ ભરત (KS Bharat) ભારતની ટેસ્ટ ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે પણ તેણે હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી. તે પંતનો બેકઅપ રહ્યો છે. જોકે તે હાલ રણજી ટ્રોફીની સિઝનમાં ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે.
શું ઇશાન કિશનને મળશે તક?
ઋષભ પંત પોતાની વિસ્ફોટક આક્રમક બેટિંગથી મેચને બદલવાની ક્ષમતા રાખે છે. જો આક્રમક બેટિંગને ધ્યાનમાં રાખીને ખેલાડીની પસંદગી થઇ તો ઇશાન કિશનને તક મળી શકે છે. બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડેમાં ડબલ સદી ફટકાર્યા પછી રણજી ટ્રોફી મેચમાં પણ સદી ફટકારી હતી.
ઉપેન્દ્ર યાદવને ઇન્ડિયા-એ સાથે રમવાનો અનુભવ
ઉપેન્દ્ર યાદવ (Upendra Yadav) હાલના દિવસોમાં ઇન્ડિયા-એ ટીમ સાથે રહ્યો છે. તે ઇન્ડિયા-એ તરફથી બાંગ્લાદેશ સામે એક મેચ રમ્યો હતો. તેમાં અડધી સદી ફટકારી હતી. રેલવેનો આ ખેલાડી સારો કિપર છે અને સારી બેટિંગ પણ કરી શકે છે.
કેએલ રાહુલ (KL Rahul)પણ કરી શકે છે કિપિંગ
કેએલ રાહુલ પણ વિકેટકિપિંગનો વિકલ્પ છે. વન-ડેમાં તે મિડલ ઓર્ડરમાં રમી રહ્યો છે અને વિકેટકિપિંગ પણ કરી રહ્યો છે. રોહિત શર્માની વાપસી પછી પ્લેઇંગ 11માં ઓપનર તરીકે તેનું સ્થાન ખતરામાં છે. આવામાં મેનેજમેન્ટ તેને વિકેટકિપરના રૂપમાં તક આપી શકે છે.