Imran Khan Arrest Updates : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને તાત્કાલિક છોડી મુકવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે ભવિષ્ય માટે એક મિસાલ બેસાડવાની જરૂર છે. અમે આખા દેશને જેલ નહીં બનવા દઈએ. આ પહેલા ઇમરાન ખાનને જ્યારે સુપ્રીમ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા તો સીજેઆઈએ તેમને જોઈને કહ્યું હતું કે તમને જોઈને ખુશી થઇ.
જોકે કેસને લઇને કાલે (શુક્રવારે) હાઇકોર્ટમાં જવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને ઘરે જવાની મંજૂરી આપી નથી. જોકે તે પોતાના પરિવારને મળી શકશે. કોર્ટે તેમને પોલીસ લાઇન ગેસ્ટ હાઉસમાં રહેવા કહ્યું છે. જેલમાંથી છુટ્યા પછી ઇમરાન ખાને શહબાઝ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા અને પોતાના સમર્થકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે મારું હાઇકોર્ટમાંથી અપરહણ કર્યું અને પછી લાકડીઓથી પીટાઇ કરી હતી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એનએબીએ દેશને ઘણો બરબાદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી ઇમરાન ખાનને બુલેટપ્રુફ કારમાં સુપ્રીમ કોર્ટ લાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડૉનના રિપોર્ટ અનુસાર ઈમરાનની ધરપકડના મામલાની સુનાવણી દરમિયાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કહ્યુ કે કોર્ટ આજે યોગ્ય આદેશ જાહેર કરશે. કોર્ટ આ કેસને લઈને ખૂબ જ ગંભીર છે.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરી હતી. આ બેંચમાં પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનલ્લાહ સામેલ હતા.
આ પણ વાંચો – ઇમરાન ખાનની ધરપકડ પછી બબાલ, પાકિસ્તાનના પંજાબમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે સૈના તૈનાત
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની બેંચે ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાં જે રીતે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણીની શરૂઆતમાં ચીફ જસ્ટિસે પૂછ્યું કે કોર્ટ પરિસરમાંથી કોઈ વ્યક્તિની ધરપકડ કેવી રીતે કરી શકાય.
જસ્ટિસ મિનલ્લાહે કહ્યું કે ઇમરાન ખાન કોર્ટ પરિસરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે ન્યાયના અધિકારથી કોઈને કેવી રીતે વંચિત રાખી શકાય? તેમણે ઉમેર્યું હતું કે કોર્ટમાંથી રજિસ્ટ્રારની પરવાનગી વગર કોઈની ધરપકડ કરી શકાતી નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટ પરિસરમાં પ્રવેશવાનો અર્થ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો છે અને આત્મસમર્પણ કર્યા પછી કોઈ વ્યક્તિની ધરપકડ કેવી રીતે થઈ શકે.