Imran Khan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એકવાર પાકિસ્તાની સેના પર આક્રમક જોવા મળી રહ્યા છે. તેમણે સેના પર આકરા પ્રહારો કરતા કહ્યું કે રાજકારણ કરવા માટે તેમણે પોતાનો એક રાજકીય પક્ષ બનાવવો જોઈએ. સાથે જ તેમણે સેનાને એમ પણ કહ્યું કે તેમના કારણે દેશ આજે કેવી સ્થિતિમાં આવી ગયો છે. તેથી દેશને વધુ અરાજકતામાં જતા બચાવવા માટે તેમણે મોટું વિચારવાની જરૂર છે.
ગયા અઠવાડિયે ઇમરાન ખાનની અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે હવે સુપ્રીમ કોર્ટના આદેશ પર તેમને છોડી મુકવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. જેલમાંથી બહાર આવતા જ તેમણે પાક સેના સામે ઉગ્રતાથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે ઝમાન પાર્કમાં પોતાના નિવાસ સ્થાનથી લોકોને સંબોધિત કરતા કહ્યું કે સેનાને કારણે દેશ પહેલાથી જ વિનાશના આરે છે.
આ પણ વાંચો – આ ચીફ જસ્ટિસ શું કરી રહ્યા છે… પાકિસ્તાન પૂર્વ પીએમ ઇમરાન ખાનનો ઓડિયો લીક
આ દરમિયાન તેમણે સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન (ISPR)ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અહમદ શરીફ ચૌધરી ઉપર પણ પ્રહારો કર્યા હતા. તેમને હિપોક્રેટ ગણાવનારા નિવેદન સામે ઈમરાન ખાને વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે મારી વાત સાંભળો, મિસ્ટર ડીજી આઈએસપીઆર. જ્યારે હું વિશ્વની સામે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતો હતો અને પાકિસ્તાન માટે સારું નામ કમાવી રહ્યો હતો ત્યારે તમારો જન્મ પણ થયો ન હતો. મને દંભી અને સેના વિરોધી કહેવા બદલ તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.
તેમણે કહ્યું કે આજ સુધી આઈએસપીઆરએ કોઈ પણ રાજકારણી વિશે આવી વાત કરી નથી. ઇમપાન ખાનને તમામ કેસોમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા હોવા છતાં તેમની ધરપકડ કરાતા પાકિસ્તાન સરકાર ઉપર પણ પ્રહાર કર્યો હતો.
પાકિસ્તાનમાં મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ધરપકડ પછી મોટા પાયે હિંસા જોવા મળી હતી. પાકિસ્તાન મીડિયા દ્વારા આપવામાં આવી રહેલી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે આર્મીને તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.