WHO : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરાના વાયરસ સંક્રમણને લઇને મોટી જાહેરાત કરી છે. ડબલ્યુએચઓએ કોરોના વાયરસનો દરજ્જો ઘટાડતા જાહેરાત કરી કે કોરોના સંક્રમણ હવે વૈશ્વિક મહામારી રહી નથી. WHOએ કહ્યું કે કોરોના હવે વૈશ્વિક ઇમરજન્સીની સ્થિતિમાં નથી. વર્તમાન પરિસ્થિતિ વૈશ્વિક રોગચાળાના પ્રતીકાત્મક અંતને ચિહ્નિત કરે છે. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
WHOના મહાનિર્દેશક જણાવ્યું હતું કે ઈમરજન્સી કમિટીની 15મી બેઠક યોજાઈ હતી. આમાં મને જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે કે વિશ્વ કોવિડ -19ની ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીના દાયરાની બહાર છે. મેં તેમની સલાહ સ્વીકારી છે. WHOએ 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી.
કોવિડ-19ના કારણે વર્ષ 2020 અને 2021માં દુનિયાના ઘણા દેશોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. લોકડાઉનને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને અસર થઈ હતી. વિશ્વભરમાં કોરોના સંક્રમણના કારણે લગભગ 70 લાખ લોકોના મોત થવાનો અંદાજ છે.
આ પણ વાંચો – શા માટે ન્યુયોર્ક ગેસ સ્ટવ અને ભઠ્ઠીઓને તબક્કાવાર બંધ કરવા માંગે છે
શુક્રવારે દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં કોરોના વાયરસના કેસોમાં તાજેતરના ઉછાળા અંગે ડબ્લ્યુએચઓએ કહ્યું હતું કે કટોકટીનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં મહામારીનો હજુ અંત થયો નથી. તેમણે કહ્યું કે દુનિયાભરમાં દર અઠવાડિયે હજુ પણ હજારો લોકો સંક્રમણથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે ખૂબ જ આશા સાથે છે કે હું જાહેરાત કરું છું કે કોવિડ -19 વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સીનો ગાળો પાર થઇ ગયો છે. જોકે આનો અર્થ એ નથી કે કોવિડ -19 વૈશ્વિક આરોગ્ય જોખમ તરીકે સમાપ્ત થઈ ગયો છે.
2020થી અત્યાર સુધી કોરોના વાયરસથી વિશ્વભરમાં લગભગ 76.4 કરોડ કેસ સામે આવ્યા છે. લગભગ પાંચ અબજ લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે.