વાડિયા ગ્રૂપની એરલાઇન ગો ફર્સ્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે, જે હાલ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. આ સાથે ભારતીય એરલાઇન્સ ક્ષેત્રની કંપનીઓની પડકારજનક સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. લગભગ ત્રણ દાયકા પહેલા ખાનગી એરલાઈન્સને ઉડાન ભરવાની પરવાનગી આપવાની શરૂઆત કરાઇ હતી, પરંતુ આંકડા દર્શાવે છે કે, મોટાભાગની એરલાઈન્સ કટોકટીના કારણે બંધ થવાનો ભોગ બની છે. છેલ્લા 27 વર્ષમાં ભારતમાં 25 એરલાઇન્સ કંપનીઓ બંધ થઇ ગઇ છે, જેમાં ઇસ્ટ વેસ્ટ ટ્રાવેલ્સ અને ટ્રેડ લિંક લિમિટેડ તેની કામગીરી બંધ કરનાર પ્રથમ એરલાઇન હતી. આ એરલાઈને 1994માં કામગીરી શરૂ કરી અને બરાબર બે વર્ષ બાદ 1996માં બંધ થઈ.
30 વર્ષમાં 27 એરલાઇન્સ બંધ થઈ
સત્તાવાર માહિતી અનુસાર, ખાનગી એરલાઇન્સ કંપનીઓને વર્ષ 1994માં દેશમાં પ્રથમવાર ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 29 વર્ષમાં કુલ 27 એરલાઈન્સે કાં તો તેમની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અથવા અન્ય એરલાઈન્સ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. જો કે કોવિડ-19 રોગચાળાને કારણે પ્રતિબંધો સંપૂર્ણ રીતે દૂર થયા બાદ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે ગત વર્ષથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, પરંતુ આર્થિક સંકટનો સામનો કરી રહેલા ગો ફર્સ્ટ (Go First) સામે દિવસેને દિવસે મુશ્કેલી વધી રહી છે.
નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઇન્સે તમામ ફ્લાઇટ રદ કરવાની સાથે સાતે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે એનસીએલજીમાં અરજી પણ કરી દીધી છે. આ પહેલા વર્ષ 2022માં હેરિટેજ એવિએશન પ્રાઈવેટ લિમિટેડે તેની કામગીરી બંધ કરી દીધી હતી. વર્ષ 2020માં પણ ત્રણ એરલાઇન્સ – ઝેક્સસ એર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, ડેક્કન ચાર્ટર્ડ પ્રાઇવેટ લિમિટેડ અને એર ઓડિશા એવિએશન લિમિટેડે પણ ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી હતી. એક સમયે ભારતની દિગ્ગજ એરલાઇન્સ કંપની ગણાતી જેટ એરવેઝના પણ એપ્રિલ 2019માં પાટિયા પડી ગયા.
વર્ષ 2012માં વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સે તેની વિમાન સેવા બંધ કરવી પડી હતી. તેની પહેલા કિંગફિશરે વર્ષ 2008માં ડેક્કન એવિએશન પ્રાઈવેટ લિમિટેડ (એર ડેક્કન)ને હસ્તગત કરી હતી. દેશમાં સસ્તી ઉડ્ડયન સેવાઓની શરૂઆત માટેનો શ્રેય એર ડેક્કનને જાય છે. 2017નું વર્ષ એરલાઈન્સ માટે ઘણું ખરાબ સાબિત રહ્યુ હતુ કારણ કે તે વર્ષે પાંચ એરલાઈન્સ કંપનીઓ બંધ થઈ હતી. એર કાર્નિવલ, એર પેગાસસ, રેલિગેર એવિએશન, એર કોસ્ટા અને ક્વિકજેટ કાર્ગોની ફ્લાઇટ સર્વિસ તે વર્ષે બંધ કરવામાં આવી હતી. તે ઉપરાંત ડેક્કન કાર્ગો એન્ડ એક્સપ્રેસ લોજિસ્ટિક્સ (2014), આર્યન કાર્ગો એક્સપ્રેસ (2011), પેરામાઉન્ટ એરવેઝ (2010), એમડીએલઆર એરલાઇન્સ (2009), જેગસન એરલાઇન્સ (2008) અને ઇન્ડસ એરવેઝ (2007) ને પણ તેમની ફ્લાઇટ સર્વિસ બંધ કરવાની ફરજ પડી હતી. તેની પહેલા વર્ષ 1997માં દમાનિયા એરવેઝ તરીકે ઓળખાતી સ્કાયલાઈન NEPC લિમિટેડ અને NEPC માઈકોન લિમિટેડની ફ્લાઈટ્સ જમીન પર આવી ગઇ હતી. લુફ્થાંસા કાર્ગો ઈન્ડિયાને પણ 2000માં વિમાન ઉડાનની કામગીરી બંધ કરવી પડી હતી. હવે ગો ફર્સ્ટ પર પણ તલવાર લટકી રહી છે.
ગો ફર્સ્ટ એરલાઇન્સના 3 મુખ્ય સમાચાર ગો-ફર્સ્ટની કટોકટીથી વાડિયા ગ્રૂપની કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો ધબડકો ગો-ફર્સ્ટ એરલાઇન સંકટમાં, બે દિવસ માટે તમામ ફ્લાઇટ રદ કરી, સ્વૈચ્છિક નાદારી માટે NLCT અરજી કરી કિંગફિશર, જેટ એવરેઝ બાદ હવે ગો ફર્સ્ટ… ‘અર્શ થી ફર્શ પર’ પટકાયેલી ભારતીય એરલાઇન્સ કંપનીઓના પતનની કહાણી
ગો ફર્સ્ટ કેમ મુશ્કેલીમાં મુકાઇ
વાડિયા ગ્રૂપની માલિકીની ગો ફર્સ્ટે તેની તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે અને તેનું કારણ છે નાણાંકીય કટોકટી, ગો ફર્સ્ટ ઉપર પર જંગી દેવું છે અને દૈનિક ઉડાન કામગીરી માટે પણ નાણાંકીય તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી કંપનીએ NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. કંપનીએ કહ્યું છે કે તેની પાસે ઓઈલ કંપનીઓના લેણાં ચૂકવવાના પૈસા નથી. રોકડ સંકટ સામે ઝઝૂમી રહેલી એરલાઈન્સે આ માટે અમેરિકન એન્જિન કંપનીને જવાબદાર ઠેરવી છે. ગો ફર્સ્ટે જણાવ્યું હતું કે તેણે યુએસ ફર્મ પ્રેટ એન્ડ વ્હીટની પાસેથી મંગાવેલા એન્જિનો પ્રાપ્ત થયા નથી, પરિણામે તેના કાફલાના 50 ટકા જમીન પર છે.