ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ સર્જાયો છે. વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ખીણની લોહિયાળ અથડામણ બાદ હવે અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે 9 ડિસેમ્બરના રોજ બંને દેશોની સેના વચ્ચે ઝપાઝપી થઇ છે. આ ઘટના બાદ બંને દેશોના સરહદી તણાવની સાથે સાથે ચીનમાંથી માલસામાનની વધતી આયાત અને આત્મનિર્ભર ભારત જેવા મુદ્દાઓ વિશે વિવાદ છેડાયો છે.
આત્મનિર્ભર ભારતના બગણાં વચ્ચે ચીનથી વધતી આયાત
ચીન સાથે અવાર-નવાર થતા સરહદી વિવાદો વચ્ચે ફરી એકવાર વેપારના મામલે ચીન પર નિર્ભરતા ઘટાડવા મદ્દે ચર્ચા છેડાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ઘણી વખત આત્મનિર્ભરતા વધારવાની વાત કરતા રહ્યા છે. પરંતુ ગયા અઠવાડિયે સંસદમાં જાહેર કરાયેલા વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચ 2022 સુધીના 12 મહિનામાં ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર 34 ટકા વધીને 115.83 અબજ ડોલરે પહોંચ્યો છે.
નોંધનિય છે કે, નોંધપાત્ર રીતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સસ્તી આયાત માટે પાડોશી દેશ ચીન પર નિર્ભર રહેવાને બદલે સમૃદ્ધ સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત ઘણ વખત ઉચ્ચારી ચૂક્યા છે. જો કે ચીન સાથે વેપાર વધવાને કારણે આત્મનિર્ભર ભારત અભિયાનને ચોક્કસપણે ફટકો લાગી શકે છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં, એપ્રિલ અને ઓક્ટોબર 2022 દરમિયાન બંને દેશો વચ્ચે 69.04 અબજ ડોલરનો વેપાર થયો છે.

ઉલ્લેખનિય છે કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં એટલે કે એપ્રિલથી ઓક્ટોબર 2022 સુધીમાં ચીન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) 51.50 અબજ ડોલર નોંધાઇ છે. જો કે, તેની સરખામણીમાં, માર્ચ 2022માં પૂરા થયેલા સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, ચીન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાધ 73.31 અબજ ડોલર રહી હતી. આમ સ્પષ્ટ થાય છે કે, હજી પણ ચીનમાંથી જંગી આયાત કરવામાં આવી રહી છે.
7 મહિનામાં 60.07 અબજ ડોલરની આયાત
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ ચાલુ નાણાંકીય વર્ષે એપ્રિલથી ઓક્ટોબર 2022 સુધીના સાત મહિનામાં ભારતમાં ચીનમાંથી 60.77 અબજ ડોલરની મૂલ્યના માલસામાનની આયાત કરાઇ છે જ્યારે ભારતે ત્યાં માત્ર 8.77 અબજ ડોલરની નિકાસ કરી છે.
ભારતમાંથી ચીન ખાતે માલસામાનની નિકાસ વર્ષ 2014-15માં 11.93 અબજ ડોલર હતી જે વધીને 2021-22માં 21.26 અબજ ડોલર થઇ છે. બીજા શબ્દોમાં કહીયે તો છેલ્લા છ વર્ષમાં ભારતમાં ચીન ખાત માલાસામાનની કુલ નિકાસ 78.2 ટકા વધી છે.
તો બીજી બાજુ ભારતમાં ચીનથી માલસામાનની કુલ આયાત વર્ષ 2014-15માં 60.41 અબજ ડોલર નોંધાઇ હતી જે વધીને વર્ષ 2021-22માં 94.57 અબજ ડોલરે પહોંચી ગઇ છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ચીન સાથે સરહદ વિવાદ અને ભારતીય સૈનિકો શહીદ થવાને કારણે ભારત સરકારે આક્રમક વલણ અપનાવી ચીન સાથેના આર્થિક અને વેપાર સંબંધો પર કડક નિયંત્રણો લાદયા હતા. જો કે હાલ ચીનમાંથી વધી રહેલી આયાતને કારણે ભારતના આત્મનિર્ભર અભિયાનને ફટકો લાગી શકે છે.
ભારત-ચીન વચ્ચેના મહત્વના 3 સમાચારઃ- ભારત ચીન સંઘર્ષ, LAC વિવાદ ક્યાં, શા માટે અને હવે શું થશે? ચીનનું રક્ષા બજેટ ભારત કરતા 3 ગણું મોટું ભારત ચીન સંઘર્ષ, બળવાન કોણ?
કેજરીવાલનો કટાક્ષ - ‘ચીન સાથે વેપાર કેમ બંધ કરતા નથી’
ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ અને ભારતીય સૈનિકો સાથે ચીનના સૈન્ય PLAની અવાર-નવાર અથડામણો વચ્ચે કેન્દ્ર સરકાર વિપક્ષની ટીકાનો સામનો કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 14 ડિસેમ્બરે એક ટ્વીટમાં કહ્યું હતું કે, “આપણે ચીન સાથેનો વેપાર કેમ બંધ ન કરી શકીયે? ચીનમાંથી આયાત થતો મોટાભાગનો માલ ભારતમાં બને છે. તેનાથી ચીનને પાઠ ભણાવી શકાશે અને ભારતમાં રોજગારી મળશે.
અઢી વર્ષ બાદ ફરી તણાવ વધ્યો
9 ડિસેમ્બરના સંઘર્ષની ઘટના આ વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં બંને દેશોના સૈન્ય વચ્ચેની સૌથી ગંભીર અથડામણ છે અને તે અઢી વર્ષ પહેલા ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછીની પ્રથમ ઘટના છે. ઉલ્લેખનિય છે કે, જૂન 2020માં લદ્દાખમાં ગલવાન ખીણમાં થયેલી હિંસલ અથડાયમણમાં ભારતના 20 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ચીનના મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હતા. .