/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Ujjain-Mahakal-Temple-Fire.jpg)
ઉજ્જૈન, મહાકાલ મંદિર આગ દુર્ઘટના (ફોટો - એક્સપ્રેસ)
Ujjain Mahakal Temple Fire : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ગુલાલ ઉડાવવા દરમિયાન લાગેલી આગમાં 14 લોકો દાઝી ગયા હતા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા સાથે પ્રશાસનને તપાસના કડક આદેશ આપ્યા હતા. આ અકસ્માતમાંથી બોધપાઠ લઈને પ્રશાસને હવે રંગપંચમી માટે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હવે 30 માર્ચે રંગપંચમીના દિવસે મંદિરમાં માત્ર હર્બલ રંગોને જ મંજૂરી આપવામાં આવશે અને લોકો કલર સાથે મંદિરમાં ન પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
વહીવટીતંત્ર કડક બન્યું
ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે પીટીઆઈને કહ્યું, 'હોળીની સાથે સાથે રંગપંચમી પર મહાકાલેશ્વર મંદિરમાં રંગોનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. અમે નક્કી કર્યું છે કે, શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ રંગપંચમી પર ટેસુ (પલાશ) ફૂલોમાંથી બનાવેલા હર્બલ કલરની જ વ્યવસ્થા કરશે.
તેમણે કહ્યું કે, રંગપંચમી પર કોઈ પણ ભક્તને મંદિર પરિસરમાં બહારથી રંગો લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંહે કહ્યું કે, સવારે ભસ્મ આરતી દરમિયાન રંગપંચમી પર ભક્તોની સંખ્યાને નિયંત્રિત કરવામાં આવશે.
રાજ્યના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ સોમવારે આશંકા વ્યક્ત કરી હતી કે, હોળી દરમિયાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કેમિકલયુક્ત ગુલાલ ફેંકવાના કારણે આગ લાગી હોઈ શકે છે.
આ પછી મુખ્યમંત્રી ડો. મોહન યાદવે પણ કહ્યું હતું કે, મંદિરના ગર્ભગૃહમાં આગની ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં ઉડાડવામાં આવેલા ગુલાલમાં કેવા કેમિકલ હોવાના કારણે આ આગ લાગી હોવાની શક્યતાની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો - ઉજ્જૈનમાં મહાકાલ મંદિરઃ હિન્દુધર્મમાં આ મંદિરનું વિશેષ મહત્વ કેમ છે?
આ દરમિયાન, શ્રી અરબિંદો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (SAMS), ઇન્દોરના સ્થાપક પ્રમુખ ડૉ. વિનોદ ભંડારીએ જણાવ્યું હતું કે, મહાકાલેશ્વર મંદિરમાં આગમાં દાઝી ગયેલા લોકોમાં વધુ ચાર લોકોને તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us